બીએસએફ ગુજરાતના આઈજી અભિષેક પાઠકે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાને ગુજરાતમાં 600 થી વધુ ડ્રોન ફાયર કર્યા હતા, પરંતુ આપણી સેનાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ તે બધાને નષ્ટ કરી દીધા હતા. પાકિસ્તાનના બધા ડ્રોન બરબાદ થઈ ગયા હતા. આઈજી અભિષેક પાઠકે કહ્યું હતું કે, 8 મે પછી, પાકિસ્તાને સતત મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો, પરંતુ આપણી સેનાની હવાઈ સંરક્ષણ પ્રણાલીએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું અને અમને કોઈ નુકસાન થયું નહીં. ગુજરાત સરહદ પર પાકિસ્તાન દ્વારા 600 થી વધુ ડ્રોન મોકલવામાં આવ્યા હતા પરંતુ કોઈ સુરક્ષા કર્મચારી કે નાગરિકને કોઈ નુકસાન થયું નથી.
પાકિસ્તાને ગુજરાત સરહદ પર ટેન્ક અને ભારે તોપમારો પણ તૈનાત કર્યો છે. આગલી વખતે આપણો પ્રતિભાવ સુધારવા માટે દરેક વસ્તુનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. બીએસએફ રાજસ્થાનના બાડમેરથી ગુજરાતના કચ્છ જિલ્લા સુધી ભારત-પાકિસ્તાન સરહદનું રક્ષણ કરે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન બીએસએફની ભૂમિકા અંગે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા પાઠકે જણાવ્યું હતું કે, પાકિસ્તાન દ્વારા રાજસ્થાનથી કચ્છ સુધીની આપણી સરહદ તરફ મોકલવામાં આવેલા લગભગ 600 ડ્રોનમાંથી લગભગ 40 ટકા (200 ડ્રોન) ગુજરાતમાં પ્રવેશ્યા હતા.

