“ગીતા” એ માત્ર પુસ્તક નહિ મોક્ષનો માર્ગ છે, તે મનુષ્યત્વ પ્રાપ્ત કરાવે છે – પ્રો.દેવુસિંહ રાઠવા
“ગીતા” હંમેશાં સાશ્વત છે તે આપઘાતના વિચારો દૂર કરે છે : કુલસચિવ
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પુસ્તકાલય દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતીની સોમવારે ઉજવણી તથા પુસ્તક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્કૃત વિભાગના અધ્યક્ષ પ્રો. દેવુસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે, “ગીતા” એ માત્ર કોઈ ધાર્મિક પુસ્તક નહિ પરંતુ મનુષ્યત્વ પ્રાપ્ત કરાવનાર માર્ગદર્શિકા છે. તે મોક્ષનો માર્ગ છે.ભારતીય સંસ્કૃતિનો આધાર “વસુધૈવ કુટુમ્બકમ” છે. જે સર્વ સમાવેશી વિચાર છે. ત્યારે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધાનો આધાર ગીતા છે. જે આત્મા ને પરમાત્મા તરફ દોરી જાય છે. ત્યારે જે લોકો સંસ્કૃત ભાષા સમજે છે તે સંસ્કૃતિના ગૂઢાર્થ તેના રહસ્યોને પણ પામે છે. અને આખરે મનુષ્યત્વ પામે છે. આ પ્રસંગે તેમણે વેદ, બ્રાહ્મણ ગ્રંથ, અરણ્ય ગ્રંથ અને ઉપનિષદોના જ્ઞાન વિષે પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગીતાનો પ્રથમ અક્ષર ‘ધ’ છે અને છેલ્લો ‘મ’ એટલે તે ધર્મનો મર્મ છે.ભગવાન શ્રી કૃષ્ણ નો માનવ માટે આપેલો સંદેશ છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા યુનિવર્સિટીના કુલસચિવ ડો. રોહિતભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને આજના દિવસનો મહિમા અને ગીતા સંદેશ વિષે માહિતગાર કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે, ગીતા એ શાશ્વત છે. હંમેશાં તે કોઈપણ પરિસ્થિતિમાં માર્ગદર્શન આપે છે તે આપઘાતના વિચારો દૂર કરાવનાર અમુલ્ય ગ્રંથ છે. ત્યારે વિધાર્થીઓએ તેનો ખાસ અભ્યાસ કરવો રહ્યો. આ પ્રસંગે ગીતા જ્ઞાન આધારિત વિવિધ પુસ્તકોનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. જેમાં બોલતી ગીતાનું પુસ્તક પણ રાખવામાં આવ્યું હતું. જે આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ પ્રસંગે ગ્રંથપાલ ડો. રજનીભાઈ પટેલ, ડેપ્યુટી રજીસ્ટ્રાર ડો. કમલભાઈ મોઢ, આસી. ગ્રંથપાલ ડો. કનકબાળા જાની વિવિધ વિભાગના અધ્યાપકો અને યુવા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

