પાટણ જિલ્લામાં આયુષ્માન ભારત યોજનાનો કુલ 1.28 લાખ દર્દીઓએ લાભ લઈ કુલ રૂ.3,15 કરોડથી વધુની નિઃશુલ્ક સારવાર મેળવી હોવાનું પાટણ જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં વર્ષ 2018 થી અમલમાં આવેલ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના નો વ્યાપ સતત વધી રહ્યો છે. વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં કુલ 72,786 લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે, જેના દ્વારા 48 કરોડ રૂપિયાથી વધુની સારવારનો લાભ જિલ્લા વાસીઓને મળ્યો છે.
યોજનાને વધુ સમાવેશી બનાવવા માટે 70 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે વયવંદના યોજના હેઠળ વિશેષ કાર્ડ આપવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 57,554 વડીલોને આયુષ્માન કાર્ડઅપાયા છે. આ ઉપરાંત, સરકારી કર્મચારીઓના પેન્શનરોને પણ આ યોજનાનો લાભ આપવા માટે કાર્ડ વિતરણની કામગીરી ચાલુ છે.આ યોજના હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને દેશની પ્રતિષ્ઠિત ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક સારવાર મળે છે. આનાથી મોંઘી સારવારના ખર્ચથી થતી આર્થિક મુશ્કેલીઓ, જેમ કે ઘરેણાં વેચવા કે દેવામાં ફસાવાની સ્થિતિમાંથી, અનેક પરિવારોને રાહત મળી હોવાનું જિલ્લા પંચાયત પાટણના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુ પટેલે જણાવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો માટે અત્યંત લાભદાયી બની છે. આ યોજના દ્વારા દર્દીઓને ઉચ્ચ ગુણવત્તાની નિઃશુલ્ક સારવાર મળી રહી છે, જેનાથી તેમના ખિસ્સા પરનો બોજ ઓછો થયો છે. પાટણ જિલ્લામાં PMJAY યોજના આરોગ્ય ક્ષેત્રે ગરીબ પરિવારોને મહત્વપૂર્ણ સહાય પૂરી પાડી રહી છે. આ યોજનાની સફળતા જિલ્લા આરોગ્ય તંત્રની સક્રિય કામગીરી અને જનજાગૃતિનું પરિણામ હોવાનું તેઓએ જણાવ્યું હતું.

