ખાદ્ય અને ઔષધ તંત્રએ ધીના નમૂના લઈ સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી સીઝ કર્યું
પાટણ શહેરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો લેબલ વગરનું ઘી ઝડપી ધીના નમૂના લઈ સરકારી લેબોરેટરીમાં પૃથક્કરણ માટે મોકલી જથ્થાને સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરતા ડુપ્લિકેટ ધીનો વેપાર કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે સુત્રો તરફથી મળતી હકીકત મુજબ ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર ને બાતમી મળેલ આધારે તંત્રએ તપાસ કરતાં પાટણ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટમાંથી 49 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. તંત્રએ આ જથ્થો સીઝ કરી તેના નમૂના લેબોરેટરીમાં મોકલ્યા છે.ટ્રાન્સપોર્ટના માલિક પરેશભાઈ મોદીની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ જથ્થો અરબાઝખાન હનીફભાઇ શેખ દ્વારા પરિવહન માટે આપવામાં આવ્યો હતો. સ્થળ પરથી 5 કિલોના ટીનના કુલ 10 ડબ્બા મળી આવ્યા હતા. જેના પર કોઈ લેબલિંગ નહોતું.
આ ઉપરાંત, જથ્થાના પરિવહન માટે જરૂરી કોઈ બિલ કે ઇન્વોઇસ રજૂ કરવામાં આવ્યા નહોતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે સંકળાયેલા પક્ષ પાસે ખાદ્ય વ્યવસાય માટે નું અનિવાર્ય FSSAI લાઇસન્સ પણ ઉપલબ્ધ ન હોય નિયમોના ભંગ બદલ તંત્ર દ્વારા અંદાજે 49 કિલો ઘીનો જથ્થો, જેની આશરે કિં. રૂ. 34,300 છે, તેને સીઝ કરવામાં આવ્યો છે. સ્થળ પર હાજર અરબાઝખાન હનીફભાઇ શેખ પાસેથી ઘીનો નમૂનો લઈ સરકારી લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી અપાયો છે.
લેબોરેટરીનો સત્તાવાર અહેવાલ આવ્યા બાદ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તંત્ર દ્વારા ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા તમામ વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોને માન્ય લાઇસન્સ, યોગ્ય લેબલિંગ અને જરૂરી દસ્તાવેજો સાથે જ ખાદ્ય પદાર્થોનો વ્યવસાય અને પરિવહન કરવા સૂચના અપાઈ છે.ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર ની કાર્યવાહી પગલે ડુપ્લિકેટ ધીનો વેપાર કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું છે.

