![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/સુપ્રીમ-કોર્ટે-બુધવારે-HED.jpg)
સુપ્રીમ કોર્ટે (VVPAT) (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ પુનઃ ચકાસણીની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે બુધવારે પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) વડે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા પડેલા મતોની સંપૂર્ણ પુનઃ ચકાસણીની માંગ કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. આ સાથે એવી પણ ટિપ્પણી કરવામાં આવી હતી કે, શંકાના આધારે નિર્ણય ન આપી શકાય. EVMના કામકાજના કેટલાક પાસાઓ પર ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા મળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આ વાત કહી હતી. આ અગાઉ, સુપ્રીમ કોર્ટે EVMની કામગીરીના કેટલાક પાસાઓ પર ચૂંટણી પંચ પાસેથી સ્પષ્ટતા માંગી હતી અને પંચના ઉચ્ચ અધિકારીને પણ કોર્ટમાં બોલાવ્યા હતા. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું હતું કે, તેને અમુક પાસાઓ પર સ્પષ્ટતાની જરૂર છે કારણ કે ચૂંટણી પંચ દ્વારા EVM પર ‘ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ’ (FAQs) અંગે આપવામાં આવેલા જવાબોમાં થોડી મૂંઝવણ હતી.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે પેપર ઑડિટ ટ્રેલ (VVPAT) વડે EVM મારફત પડેલા મતોની પુનઃ ચકાસણીની વિનંતી કરતી અરજીઓ પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. બેન્ચે ચૂંટણી પંચ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને કહ્યું કે, “અમે ખોટા સાબિત થવા માંગતા નથી, પરંતુ અમારા તારણો વિશે સંપૂર્ણ ખાતરી કરવા માંગીએ છીએ અને તેથી અમે સ્પષ્ટતા માંગવાનું વિચાર્યું છે.” બેન્ચે ભાટીને વરિષ્ઠ નાયબ ચૂંટણી કમિશનર નીતીશ કુમાર વ્યાસને બપોરે 2 વાગ્યે બોલાવવાનું કહ્યું હતું, જેમણે અગાઉ EVMની કામગીરી અંગે કોર્ટમાં રજૂઆત કરી હતી. જેમાં EVMના સ્ટોરેજ, EVMના કંટ્રોલ યુનિટમાં માઈક્રોચિપ અને અન્ય પાસાઓને લગતા કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેના સંદર્ભમાં કોર્ટે સ્પષ્ટતા માંગી હતી. VVPAT એક સ્વતંત્ર વોટ વેરિફિકેશન સિસ્ટમ છે જેના દ્વારા મતદારો જાણી શકે છે કે તેમનો વોટ તે વ્યક્તિને ગયો છે કે જેના માટે તેમણે વોટ આપ્યો છે કે નહીં.