પાલનપુરમાં વેરા મુદ્દે ૭૦૦ બાકીદારોને નોટિસ
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકા દ્વારા રીઢા બાકીદારો સામે લાલ આંખ કરતા તવાઈ હાથ ધરી છે. પાલિકા દ્વારા વેપારીઓના રૂ.૭૦ લાખના બાકી વ્યવસાય વેરા સહિત કુલ રૂ.૧૨.૭૦ કરોડના બાકી વેરા વસુલાત પેટે ૭૦૦ જેટલા રીઢા બાકીદારોને નોટિસ ફટકારતા બાકીદારો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાલનપુર નગરપાલિકામાં ૫૮ હજાર જેટલા મિલ્કત ઘારકો નોંધાયેલ છે. જે મિલ્કતોના ઘરવેરા, પાણી વેરા તેમજ દીવાબત્તીનાં વેરાની દર વર્ષે વસુલાત કરવામાં આવે છે. જેમાં કેટલાક મિલ્કત ધારકો વર્ષોથી પાલિકાનો વેરા ભરતા ન હોઇ રીઢા બાકીદારોનો નગર પાલિકાના ચોપડે રૂ. ૧૨ કરોડથી વધુની રકમનો વેરો બાકી બોલે છે. જોકે, ચાલુ વર્ષે પાલિકા દ્વારા વેરા ન ભરનાર બાકીદારો સામે બાકી કર ની વસુલાત માટે કડક કાર્યવાહી કરતા રૂ. ૧૧.૭૦ કરોડની વસુલાત કરવામાં આવી હતી. જ્યારે હજુ પણ રૂ.૧૨ કરોડની વેરા વસુલાત બાકી છે. તો વળી વ્યવસાય વેરામાં પણ ૯,૦૦૦થી વધુ વ્યાપારિક પ્રતિષ્ઠાન નોંધાયેલ છે. ત્યારે વ્યવસાય વેરાનાં કરદાતાઓની પણ ૭૦ લાખ થી વધુની વસૂલી બાકી હોઇ આ બાકી કર ની વસુલાત માટે નગરપાલિકા દ્રારા ૭૦૦ જેટલા મિલકત ધારકોને રૂ.૧૨.૭૦ કરોડની બાકી કર ની ભરપાઈ કરવા માટે નોટીસો ફટકારવા માં આવી છે. જેને લઈ બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
વેરો ભરો નહિ તો આગામી દિવસોમાં નળ જોડાણ પણ કપાશે
પાલનપુર નગરપાલિકાની વેરા વસુલાત શાખાએ જણાવ્યું હતું કે, જે રીઢા બાકીદારો પાલિકાનો વેરો નિયમિત ભરતા નથી. તેવા મિલકત ધારકોને બાકી કર ની ભરપાઈ કરવા નોટિસો અપાઈ છે. તેમ છતાં જે બાકીદારો વેરો નહિ ભરે તેમના નળ કનેક્શન કાપવાની કાર્યવાહી કરાશે છે.
વેરામાં વ્યાજ અને દંડ માફીની મુદતમાં વધારો કરવામાં આવ્યો
પાલનપુર નગરપાલિકા દ્રારા સરકારના “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મિલ્કત ધારકોને વેરા ના વ્યાજ અને દંડ માફી આપવા આવી હતી. જેની મુદત વધારીને ૩૧ માર્ચ સુધી લંબાવવામાં આવી છે. જે મિલ્કત ધારકો ૩૧ માર્ચ સુધી પોતાનો બાકી કર ભરશે તો તેમને વ્યાજ અને દંડ માં માફીનો લાભ મળશે.