![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/north-korea.png)
ઉત્તર કોરિયાએ વધાર્યું દુનિયાના દેશોનું ટેન્શન, અત્યંત ઘાતક મિસાઈલનું કર્યું પરીક્ષણ
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનનો મિસાઈલ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. ઉત્તર કોરિયા સતત મિસાઈલ પરીક્ષણ કરી રહ્યું છે. આ દરમિયાન ઉત્તર કોરિયા દ્વારા આવી મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવ્યું છે, જેના કારણે વિશ્વના ઘણા દેશોનું ટેન્શન વધી ગયું છે. ઉત્તર કોરિયાએ મંગળવારે કહ્યું કે તેણે એક નવી વ્યૂહાત્મક બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે જે વિશાળ હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. આ મિસાઈલ અત્યંત ઘાતક અને વિનાશ કરવા સક્ષમ છે.
આ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું
અમેરિકાની આગેવાની હેઠળના ખતરાનો સામનો કરવા માટે ઉત્તર કોરિયા સતત પોતાના હથિયારોને અપગ્રેડ કરવા પર ભાર આપી રહ્યું છે. ઉત્તર કોરિયાની સત્તાવાર કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સીએ આ હથિયારને ‘Hwasongfo-11DA-4.5’ તરીકે વર્ણવ્યું છે જે 4.5 ટનના જંગી વૉરહેડને લઈ જવા માટે સક્ષમ છે. તેમણે કહ્યું કે સોમવારે આયોજિત પરીક્ષણ તેની ફ્લાઇટની સ્થિરતા અને મહત્તમ 500 કિલોમીટરની રેન્જમાં પ્રહાર કરવાની તેની ક્ષમતાની પુષ્ટિ કરવા માટે હતું.
ઉત્તર કોરિયા ફરીથી પરીક્ષણ કરશે
KCNA એ જણાવ્યું નથી કે નવી મિસાઈલો ક્યાંથી લોન્ચ કરવામાં આવી હતી. KCNAએ ઉત્તર કોરિયાના મિસાઈલ પ્રશાસનને ટાંકીને કહ્યું કે ઉત્તર કોરિયા 250 કિલોમીટરની મધ્યમ રેન્જને ધ્યાનમાં રાખીને જુલાઈમાં ફરીથી મિસાઈલનું પરીક્ષણ કરશે. આ પ્રક્ષેપણ એવા સમયે કરવામાં આવ્યું છે જ્યારે આ ક્ષેત્રમાં દક્ષિણ કોરિયા, અમેરિકા અને જાપાન વચ્ચે ત્રિપક્ષીય કવાયત ‘ફ્રીડમ એજ’ બે દિવસ પહેલા સમાપ્ત થઈ ગઈ છે.
તમને જણાવી દઈએ કે દક્ષિણ કોરિયાની સેનાએ પહેલા કહ્યું હતું કે ઉત્તર કોરિયાએ સોમવારે તેના એક દક્ષિણ-પશ્ચિમ શહેરથી ઉત્તર-પૂર્વ દિશામાં બે બેલેસ્ટિક મિસાઈલો છોડી હતી. તેમણે કહ્યું કે પ્રથમ મિસાઈલ 600 કિલોમીટર (370 માઈલ) અને બીજી મિસાઈલ 120 કિલોમીટર (75 માઈલ)ની રેન્જને આવરી લે છે. તેમનું કહેવું છે કે ઉત્તર કોરિયાની કાર્યવાહીના કારણે કોરિયન પેનિનસુલા પર તણાવની સ્થિતિ છે.
Tags india north korea Rakhewal