દાંતામાં વીજળી પડતાં માલધારી અને 50 બકરાંના મોત
દાંતા તાલુકાના માણેકનાથ ડુંગર વિસ્તારમાં રવિવારે એકાએક વીજળી પડતા માલધારી યુવક સહિત 50 બકરાંના મોત નીપજ્યા હતા. અંધારામાં મૃતદેહો શોધવા ડુંગર વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી છે.છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે 23 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં 6 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે 17 તાલુકાઓમાં અડધા ઇંચ સુધીનો વરસાદ થતાં વાતાવરણમાં દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ઠંડક પ્રસરી હતી.
ભચડીયા ગામના માલધારી સમાજના આગેવાન કેવળભાઈ દેસાઈના જણાવ્યા મુજબ અડેરણ (ત) ગામના ચમનભાઈ દેવરાજભાઈ રબારી (35) અને તેમનો ભાઈ બકરાં ચરાવવા રવિવારે માણેકનાથ ડુંગર વિસ્તારમાં ગયા હતા. દરમ્યાન સાંજના સુમારે એક ભાઈ બકરાં લઇને નીચે ઉતરી ઘરે પહોંચી ગયો હતો. પરંતુ બીજો ભાઈ મોડી સાંજ સુધી પરત ન આવતા પરિવારજનો ડુંગર વિસ્તારમાં શોધ ખોળ હાથ ધરી હતી.
જ્યાં વીજળી પડવાથી ચમનભાઈ સહિત તેના 50 બકરાના મોત નીપજ્યા હોવાનુ જોવા મળ્યું હતું. ઘટનાને લઇ નાનકડા ગામ સહીત સમગ્ર માલધારી સમાજમાં ભારે અરેરાટી અને શોકની કાલિમા પ્રવર્તી જવા પામી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી હજુ પણ માલધારી લોકો ડુંગર પર અન્ય પશુ ધન શોધવાની કવાયત હાથ ધરી રહ્યા છે. મૃતકનો દેહ પણ હજુ સુધી નીચે લાવવામાં આવ્યો નથી.