પાલનપુરમાં ધોળે દહાડે દેવીપૂજક યુવકની હત્યાના કેસમાં ત્રણ આરોપીઓ ઝડપાયા
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર,
પાલનપુર શહેરના હાર્દસમા કોઝી વિસ્તારમાં ભર બજારે ધોળે દહાડે દેવીપૂજક યુવકની મંગળવારે બપોરે હત્યા કરાઈ હતી. જે કેસમાં પોલીસે આરોપીઓને ગણતરીના સમયમાં જ ઝડપી લઈ જેલના હવાલે કર્યા હતા. જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં મંગળવારે બપોરે દેવી પૂજક યુવક ગોપાલભાઈ કાળુભાઇની હત્યા થઇ હતી. જેના પગલે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે ગોપાલભાઈને દિકરી મંજુબેનના લગ્ન પાલનપુરના માધવ ભાઈ વેડુ દેવીપુજક સાથે થયા હતા.
જાેકે લગ્નના થોડા સમય બાદ પતિ પત્નીને મેળ ન આવતા સમાજ રાહે છુટાછેડા થયા હતા અને મંજુબેનને ગઢ મડાણા ગામે વળાવ્યા હતા. તેનું મનદુઃખ રાખીને ગોપાલભાઇના વેવાઈ પક્ષના લોકોએ મંગળવારે પાલનપુરમાં જિલ્લા પંચાયત પાસે આવી તેમની સાથે ઝઘડો કરી અપશબ્દો બોલ્યા હતા.
જેથી ગોપાલભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે મારા દિકરા સાથે છુટા છેડા કરાવી તારી દિકરીને બીજે કેમ વળાવી તેમ કહી જાહેરમાં છરીના ઘા મારી હત્યા કરી હતી. જે અંગે સીતાબેન હરિભાઈ દેવીપૂજક એ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે માધવ પરથીભાઈ વેડુ દેવીપૂજક, પરથી અમરતભાઈ વેડું દેવીપૂજક, મધુબેન પરથીભાઈ વેડુ દેવીપૂજક એમ ત્રણ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના સમયમાં જ ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.