વિસનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા પી આપઘાતનો પ્રયાસ; 5 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો
વિસનગરમાં એક યુવકે વ્યાજે લીધેલા પૈસામાં અમુક પૈસા ચૂકવી દીધા હોવા છતાં પણ વ્યાજખોરોએ વારંવાર પૈસા સહિત વ્યાજની માગણી કરી હતી. બળજબરી પૂર્વક ચેક લખાવી હાથ પગ તોડી નાખવાની ધમકીઓ આપતા યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેને લઈ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આમ યુવકે પાંચ શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગરના ફતેહ દરવાજા બાજી પટેલની વ્હોરવાડમાં રહેતા જીગ્નેશ ગણપત જયસ્વાલ જેઓ ફ્રૂટની લારી ચલાવે છે. જેમાં જીગ્નેશને ધંધામાં નુકસાન જતા વિશાલ રબારી પાસેથી ચાર લાખ 10%ના વ્યાજે, ઉમેશ પટેલ પાસેથી 1.50 લાખ 10%ના વ્યાજે, રાકેશ પટેલ પાસેથી 50 હજાર 10%ના વ્યાજે, તેજો રબારી પાસેથી 25 હજાર 5%ના વ્યાજે તેમજ ઉમંગ પટેલ પાસેથી 3 લાખ રૂપિયા 10%ના વ્યાજે લીધા હતા.
જેમાં જીગ્નેશ એ વિશાલ રબારી પાસેથી લીધેલા પૈસામાં 2 લાખ વ્યાજ સહિત ચૂકવી ત્રણ ચેક આપ્યા હતા. જ્યારે ઉમેશ પટેલ પાસેથી લીધેલા પૈસામાં 75 હજાર ચૂકવી 75 હજાર બાકી રાખ્યા હતા. રાકેશ પટેલ પાસેથી લીધેલા પૈસા 25 હજાર વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં ધમકીઓ આપી હતી. જ્યારે તેજા રબારી એ પણ ફોન પર ધમકીઓ આપી હતી. જ્યારે જીગ્નેશ એ ઉમંગ પટેલ પાસેથી લીધેલા 3 લાખ માંથી 1.5 લાખ વ્યાજ સહિત ચૂકવી દીધા હતા. જેમાં ઉમંગ એ 1.50 લાખનો ચેક ભરી ખાતામાં પૂરતા પૈસા ન હોવાને કારણે જીગ્નેશ વિરુદ્ધ વિસનગર કોર્ટમાં ચેક રિટર્નનો કેસ કર્યો હતો.