થરાદમાં પહેલો વરસાદ ખાબકતાં ઠેરઠેર જળબંબાકાર,ટ્રાફિકજામ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં પ્રજાજનો પરેશાન
થરાદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે બે દિવસ પહેલા અમૂક ગામડાઓમાં વરસાદ થયો હતો. ત્યારબાદ મંગળવારે સવારથી જ શહેર સહિત મેઘસવારી આવી પહોંચતાં ગ્રામ્યવિસ્તારોમાં મનમુકીને વરસ્યા હતા.અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થતાં ખેડુતોમાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.
વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝાપટાં શરૂ થતાં થરાદ તાલુકાના કેટલાક ગામોમાં ક્યાંક વરસાદી ઝાપટાં તો ક્યાક ધીમીધારે વરસાદ વરસ્યો હતો. સાથે સાથે નગરના નિચાણવાળા ભાગોમાં પાણી ભરાયાં છે. નગરના આશાપુરાવાસ વિસ્તારમાં રહીશોના મકાનમાં, બસસ્ટેન્ડ, નારણદેવી માતાજીના મંદીર જવાના માર્ગે, હનુમાનજી ગોળાઈ, સોમનાથ સોસાયટી સહિત વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જુના આરટીઓ ચેકપોસ્ટથી હાઇવે જતા રોડ પર મોટા ખાડામાં જીપડાલાનાં પૈડાં ગરકાવ થતાં જેસીબી મશીનથી બહાર કાઢવામાં આવ્યાં હતાં.થરાદમાં પાણીના મોટા ટાંકા પાસેથી નર્મદા કેનાલ સુધીના બની રહેલા રોડનાં નાળાંની કામગીરી વચ્ચે દક્ષિણ તરફની સોસાયટીઓનું પાણી આવતાં ડીવાઇડર તોડીને નિકાલ કરાવાયો હતો. જો કે તેના કારણે ભારે ટ્રાફિક સર્જાતાં એમ્બ્યુલન્સ સહિત વાહનો અટવાયાં હતાં. નોંધનીયછેકે રોડની એક સાઇડની કામગીરી નાળાના કારણે ચાલુ છે અને સર્વિસ રોડનાં પણ કોઇ ઠેકાણાં નથી. તેમાંય પરપ્રાંતીય ભારે વાહનોનું ડાયવર્જન એક સાઇડ આપવામાં આવ્યું હોવાના કારણે રહીશોની મુસીબતોમાં વધારો થવા પામ્યો હતો.લગભગ છેલ્લા બે વરસથી ચાલી રહેલી ચારકિમીના રોડની કામગીરીએ રહીશો અને વાહનચાલકો માટે માથાના દુઃખાવારૂપ બનવા પામી છે.