![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/અંબાજી-મંદિર-દેવસ્થાન-06-હેડ.jpg)
અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા
એરપોર્ટમાં પાર્કિંગની જેમ સુવિધા મળતા યાત્રિકોમાં ખુશાલી: યાત્રાધામ અંબાજીમાં હવે વાહન પાર્કિંગમાં પણ ફાસ્ટેગની સુવિધા ઉભી કરવામાં આવી છે.ધામમાં હાલના તબક્કે જે રીતે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે તેવામાં ખાનગી પાર્કિંગ સંચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાની અનેક વાર ફરિયાદો ઉઠી હતી. એટલું જ નહિ, મંદિર ટ્રસ્ટ દ્વારા કોન્ટ્રાકટ બેઝ ઉપર અપાયેલા પાર્કિંગ પ્લોટમાં પણ યાત્રિકો પાસેથી મોટો ચાર્જ ઉઘરાવતા હોવાની ફરિયાદોને લઇ મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હવે અંબાજીના પાર્કિંગ પ્લોટમાં ફાસ્ટેગની સુવિધા કરવામાં આવી છે, જેમ એરપોર્ટમાં પાર્કિંગ ફાસ્ટેગ દ્વારા જ કરવામાં આવે છે તેજ રીતે અંબાજીમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં ફાસ્ટેગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ ફાસ્ટેગ વાળા પાર્કિંગમાં વાહનો અંદર પ્રવેશે ને જયારે પરત બહાર નીકળે ત્યારે નિયત કરાયેલા 50 રૂપિયાનો ચાર્જ ફાસ્ટેગ માંથી કપાઈ જાય છે, જેથી યાત્રિકોને લાંબી લાઈનો કે રોકડા તથા છુંટા પૈસાની ઝંઝટ રહેતી નથી.
એટલું જ નહીં, પાર્કિંગમાં પણ ખાસ કરીને વાહનની સંપૂર્ણ સુરક્ષા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે જેથી આ પાર્કિંગમાં વાહન મુકનાર ચાલક પોતાનું વાહન પાર્ક કરીને વાહનની તેમજ વાહનમાં રહેલા માલ સમાનની સલામતી મહેસુસ કરી રહ્યા છે.જેને લઈ યાત્રિકોમાં ખુશાલી છવાઈ છે.
જોકે હાલમાં પ્રાયોગિક ધોરણે એક પાર્કિંગમાં આ ફાસ્ટેગની સુવિધા કરવામાં આવી છે. જેમાં માત્ર 80 વાહનની મર્યાદા હોવાથી અન્ય વાહન બહાર નીકળે તો જ બીજા વાહનને પાર્કિંગ કરવાનો મોકો મળી શકે છે. આગામી સમયમાં અંબાજી મંદિરના અન્ય 7 જેટલા પાર્કિંગોમાં પણ ફાસ્ટેગની સુવિધા સજ્જ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.