કેબીનેટ મંત્રી સહિતના રાજકીય, સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનોએ પાલખી યાત્રા નું સ્વાગત કર્યુ
સિદ્ધપુરમાં મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે પાંચ સ્વયંભૂ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા યોજાઈ હતી. આ વર્ષે પ્રથમવાર ભગવાન મહાદેવની નવી મૂર્તિને ગજરાજ પર બિરાજમાન કરવામાં આવી હતી.બિંદુ સરોવર ખાતે હરિહર મિલનથી યાત્રાનો પ્રારંભ થયો હતો. સિદ્ધપુર નગરીમાં બિરાજમાન વટેશ્વર, વાલકેશ્વર, સિદ્ધેશ્વર, બ્રહ્માંડેશ્વર અને અરવડેશ્વર મહાદેવની પાલખીઓ હર હર મહાદેવના નાદ સાથે બિંદુ સરોવર ખાતે એકત્રિત થઈ હતી. પીતાંબરધારી બ્રાહ્મણો દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી.
શોભાયાત્રા બિંદુ સરોવર થી નીકળી એલએસ હાઈસ્કૂલ,અફીણ ગેટ, અલવાનો ચકલો થઈને આગળ વધી હતી. યાત્રા કાળાભટનો માઢ, પત્થર પોળ, રુદ્રમહાલય અને મંડીબજાર થઈને નિલકંઠેશ્વર મહાદેવ સુધી પહોંચી મહાઆરતી બાદ વિસર્જન થઈ હતી.યાત્રામાં હાથી, ઘોડા અને ઊંટ સાથે નાના બાળકો પણ વિવિધ વેશભૂષામાં જોડાયા હતા. માર્ગમાં ભક્તો દ્વારા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. પાણી અને શરબતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા 7 થી10 હજાર ઉપવાસી ભક્તો માટે મોરૈયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. પાલિકાના કર્મચારીઓએ સ્વચ્છતા જાળવવા માટે સતત કામગીરી કરી હતી. આ ધામિર્ક પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે ખાસ ઉપસ્થિત રહી પૂજન અર્ચન દર્શન કરી પ્રસાદ નું વિતરણ કયુઁ હતું.પાલિકા પ્રમુખ અને ભાજપના નેતાઓએ યાત્રાનું સ્વાગત કર્યું હતું. સિદ્ધપુર પોલીસે શોભા યાત્રા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.