મહેસાણા નદીકાંઠાનાં 32 ગામો એલર્ટ કરાયાં; મહેસાણાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ (સાબરમતી જળાશય) ના સ્ત્રાવ ક્ષેત્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના પગલે સવારે જળસ્તર 83.38 ટકાએ પહોંચ્યું હતું. ધરોઈ ડેમમાં પાણીની આવક જોતાં સાબરમતી નદીમાં પાણી છોડવાની સંભાવનાને લઈ તંત્ર સાબદું બન્યું હતું. જેના પગલે જિલ્લામાં સાબરમતી નદીના કાંઠે આવેલા મહેસાણા જિલ્લાના ચાર તાલુકાના 32 ગામોને એલર્ટ કરાયા છે.
ઉત્તર ગુજરાતમાં પિયત અને પીવાનું પાણી પૂરું પાડતા ધરોઇ ડેમમાં ભરપૂર આવકને લઈ ડેમની સપાટી-188.00 મીટર/616.79 ફુટ નોંધાયેલ છે. હાલમાં સાબરમતી જળાશય યોજનામાં 46110 ક્યુસેકની પાણીની આવક ચાલુ છે. ચાલુ માસે સાબરમતી જળાશય યોજનાનું રૂલ લેવલ 618 ફુટ (188.366 મીટર) છે. હવે ઉપરવાસમાં સારો વરસાદ થાય તો ધરોઇ ડેમના દરવાજા આવનારા સમયમાં ખોલવાની જરૂર જણાય તેમ છે. જેથી સાબરમતી નદીમાં ધરોઇ બંધની હેઠવાસમાં નદીમાં પાણીનો પ્રવાહ શરૂ થવાની શક્યતા રહેલી છે. હાલમાં ધરોઇ ડેમ અલેર્ટ સ્ટેજ પર હોઇ, હાલની પાણીની આવક યથાવત રહેતા આગામી દિવસોમાં નદીમાં પાણી છોડવાની સંભાવના છે, જેથી ધરોઇ ડેમના હેઠવાસમાં નદીકાંઠાના તેમજ નીચાણવાળા વિસ્તારમાં ડીઝાસ્ટર મેનેજમેંટ પ્લાન મુજબ કાર્યવાહી કરવા જણાવાયું છે. જે અનુસંધાને સંભવિત સ્થળાંતર અને બચાવની કામગીરી માટે તંત્રને તાકીદ કરવામાં આવી છે.

