સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉંની જાતનું નવું સંશોધન કર્યું

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઘઉંની જાતનું નવું સંશોધન કર્યું

સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટીના ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર દ્વારા ઘઉંની જીડ્બ્લ્યુ ૫૧૩ જાત સંશોધિત કરીને વિકસાવવામાં આવી છે જે અન્ય જાતોની તુલનાએ નોંધપાત્ર રીતે વધુ ઉત્પાદન આપે છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા દ્વારા જીલ્લાના ખેડૂતોની આવક બમણી થાય તથા આર્થિક રીતે સદ્ધર બને તે માટે વિવિધ પ્રકારની વિસ્તરણ શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસા હસ્તકના દત્તક ગામોમાં ઘઉંની જીડબ્લ્યુ ૫૧૩ જાતના કુલ ૬૦ જેટલાં નિદર્શનો ગોઠવવામાં આવ્યા હતા. જેમાં દાંતીવાડા તાલુકામાં ધાનેરી, પાલનપુર તાલુકાના સુંઢા, મોટા, કુંભલમેર, કુંભાસણ, દેવપુરા અને વડગામ તાલુકાના નાગાણા ગામોનો સમાવેશ થાય છે. ખેડૂતોને આપવામાં આવેલ નિદર્શનમાંથી સરેરાશ ૬૫ થી ૭૦ મણ સુધીનું ઉત્પાદન એક વિઘામાંથી નોંધાયું હતું.

જેમાં કેટલાક ખેડૂતોનું ઉત્પાદન ૭૦ મણથી પણ વધારે આવેલ હતું. આ જાતની વિશિષ્ટતા એ છે કે તેના છોડમાં ઉંબીની લંબાઈ સામાન્ય રીતે ૯ થી ૧૦.૫ સેન્ટીમીટર અને દરેક ઉંબીમાં અંદાજે ૫૦ થી ૬૫ જેટલા  દાણા જોવા મળ્યા છે જે  ઉત્તમ ઉત્પાદન  ક્ષમતા દર્શાવે છે. અન્ય પરંપરાગત ઘઉંની જાતોની સરખામણીએ જીડબ્લ્યુ ૫૧૩ જાતની ઉંબીમાં સરેરાશ ૨૦ થી ૨૫ દાણા વધુ જોવા મળેલ છે.  વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સ.દાં.કૃ.યુ., ડીસા દ્વારા નિદર્શન આપેલા ખેડૂતોને વેચાણ માટે વોટ્સએપ ગ્રુપ દ્વારા વેચાણની સગવડ પૂરી પાડવામાં આવેલ.  વધુમાં ડીસા તાલુકાના સમો મોટા અને ધારીસણા ગામે પણ નિદર્શનો ગોઠવવામાં આવેલ જે મળી આ વર્ષે અંદાજીત ૪૧૦ ખેડૂતોના ખેતર ઉપર વાવણી થયેલ છે. હાલમાં જયારે ઘઉંની લણણી ચાલી રહી છે ત્યારે ખેડૂતોમાં આ જાતના બિયારણ મેળવવા માટેની  માંગ હાલ થી શરૂ થઈ ગઈ છે, જે દર્શાવે છે કે આ જાત ખેડૂત સમુદાયમાં અત્યંત લોકપ્રિય બની છે.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ડીસાના વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંની જીડ્બ્લ્યુ ૫૧૩ જાત માટે ખેડૂતોમાં વધુમાં વધુ પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી ઘઉંની આ જાતનો વિસ્તાર વધે અને ઉત્પાદન પણ વધે. વૈજ્ઞાનિકો ખેડૂતોની સતત મુલાકાત લઈ યોગ્ય ટેકનીકલી માર્ગદર્શન પણ આપતા રહે છે. ખેડૂતોના અભિપ્રાય મુજબ આ જાતના ઘઉંમાંથી બનેલી રોટલી સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પાચન માટે હલકી હોય છે, જે આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયી ગણાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *