નાના કામદારો માટે સરકાર સંવેદનહીન છે – જયદેવસિંહ ચાવડા
મહેસાણા શહેરમાં નવ નિર્માણાધિન સરકારી જનરલ હોસ્પિટલ બન્યા પહેલા જ કેટલીયવાર વિવાદોમાં ઘેરાઈ ચુકી છે. સાત માળીયા સરકારી દવાખાનું બનશે ત્યારે બનશે પરંતુ બન્યા પહેલા જ અહીંયા મજૂરી કામ કરતા બે મજૂરોના મોતની ઘટના પણ અગાઉ બનવા પામી હતી. આ જનરલ હોસ્પિટલના નિર્માણમાં તેના કોટ્રાક્ટર દ્વારા મજૂરી કામ કરનારા માણસોની સુરક્ષા મામલે પણ ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી હોવાના સમાચાર ઓન અનેકવારપ્રસારિત કરવામાં આવેલા છતાં પણ સરકારી તંત્રના અધિકારીઓને જાણે કે કોઈ મજૂરના મોતથી કોઈ ફરક ના પડતો હોય તેમ હાલના તબક્કે પણ મૂજરીયાને કોઈ પણ પ્રકારની સુરક્ષા રૂપે સેફટી આપવામાં નથી આવી. જેના લીધે મજૂરીકામ કરતા મજૂરીયા વર્ગના લોકો પોતાના જીવના જોખમે ઓછા વેતનમાં પણ કામ કરવા મજબૂર બન્યા છે.
મહેસાણા જનરલ હોસ્પિટલમાં અગાઉ પણ બે મજૂરોના મોત નીપજ્યા હતા જેની કોઈ તપાસ ન કરવામાં આવી હોય તેવા આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે. એક મજૂરનું ઉપરથી પડી જવાથી મોત થયું હતું જ્યારે બીજા મજૂરનું ઇલેક્ટ્રીક કરંટના શોર્ટ લાગવાથી મોત થયું હતું તેવા અહેવાલો પ્રસિદ્ધ થયા હતા. આ સમગ્ર ઘટનામાં કોન્ટ્રાક્ટર અને સિવિલના એન્જિનિયરો અધિકારીઓની મિલીભગત હોઈ શકે તેવા આક્ષેપો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડાએ લગાવી ભેળસેળીયા સરકારી તંત્ર પર પોતાની તીખી પ્રતિક્રિયા આપી હતી.
જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આ સરકાર સામાન્ય ગરીબ માણસો માટે સંવેદનશીલ સરકાર નથી. રાજ્ય સરકારમાં બેઠેલા આકાઓના ઈશારે કમિશનબાજ કોન્ટ્રાકટર પણ તેમની આંગળીઓના ઈશારે નાચતા હોય તેમ સરકાર સાથેની મિલીભગતમાં લોકોના જીવ લેતા પણ ખચકાતા નથી. ભાજપની સરકાર પોતાની કામગીરીને સંવેદનશીલ સરકાર કહે છે તો સરકારી દવાખાનાના નિર્માણમાં અગાઉ થયેલા બે મજૂરોના મોત મામલે સરકાર કે તંત્રના અધિકારીઓની એ સંવેદનશીલતાં ક્યાં મરી પરવારી છે?? તેવા ગંભીર આક્ષેપો સાથે મજૂરીકામ કરતા લોકોની સુરક્ષા બાબતે યોગ્ય પગલાં લેવાય અને તેમને તેનું યોગ્ય વળતર આપવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે માંગ કરી છે.

