![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/Dinesh-411.jpg)
યોગી આદિત્યનાથ હૈદરાબાદને ભાગ્યનગર કરવાની તૈયારીમાં?
મહબૂબનગર, ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ શનિવારથી તેલંગાણાના ચૂંટણી જંગમાં ઉતર્યા છે. હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર રાખવાનું વચન આપ્યા બાદ યોગીએ રવિવારે કહ્યું હતું કે, જો ભાજપ સત્તામાં આવશે તો તેલંગાણાના મહબૂબનગરનું નામ બદલીને પલામુરુ રાખવામાં આવશે. મહબૂબનગરમાં એક ચૂંટણી રેલીને સંબોધતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ કહ્યું કે, તેઓ માફિયા રાજ સામે લોકોને સાવધાન કરવા અને મહબૂબનગરને પલામુરુ તરીકે પુનઃસ્થાપિત કરવા તેલંગાણા આવ્યા છે. શનિવારે કુમારમ ભીમ આસિફાબાદ જિલ્લામાં એક રેલીને સંબોધતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, જો ભાજપ તેલંગાણામાં સત્તામાં આવશે તો હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેશે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પણ શુક્રવારે કહ્યું હતું કે, તેલંગાણામાં સત્તામાં આવતાની ૩૦ મિનિટમાં ભાજપ હૈદરાબાદનું નામ બદલીને ભાગ્યનગર કરી દેશે. મહબૂબનગર રેલીમાં યોગી આદિત્યનાથે આરોપ લગાવ્યો કે, તેલંગાણા વિવિધ માફિયાઓની પકડમાં છે.
તેમણે દાવો કર્યો હતો કે, ૨૦૧૭ પહેલા ઉત્તર પ્રદેશમાં આવા જ માફિયાઓ હતા અને ત્યાં દર બે-ત્રણ દિવસે રમખાણો થતા હતા. યોગી આદિત્યનાથે કહ્યું કે, “માફિયાઓની સમાંતર સરકાર હતી, પરંતુ ડબલ એન્જિનની ભાજપ સરકારે આ માફિયા શાસનનો અંત લાવ્યો છે.” તેમણે દાવો કર્યો હતો કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા સાડા છ વર્ષમાં કોઈ રમખાણ થયા નથી. તેમણે કહ્યું, “તમે જોયું હશે કે યુપીના બુલડોઝર માફિયાઓ અને ગુનેગારો સામે કેવી રીતે કામ કરે છે.
આ તેમનો ઉકેલ છે.” ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને બીઆરએસ એકબીજાની મિલીભગતમાં છે. તેણે કહ્યું, “તેમનો કોમન ફ્રેન્ડ એમઆઈએમ છે, જે ફેવિકોલમાં કામ કરે છે.” તેમણે લોકોને કહ્યું કે, તેમાંથી કોઈપણ એકને મત આપવાથી ત્રણેય મજબૂત થશે. તેમણે કહ્યું કે, ૨૬ નવેમ્બરે ભારતે મુંબઈમાં સૌથી મોટો આતંકવાદી હુમલો જોયો હતો. તેમણે કહ્યું કે, “પરંતુ પીએમ મોદી વડા પ્રધાન બન્યા પછી, અમે એક નવું ભારત જોઈ રહ્યા છીએ. છેલ્લા ૧૦ વર્ષમાં કોઈ આતંકવાદી હુમલો થયો નથી અને કોઈ ઘૂસણખોરી થઈ નથી. દેશ જાણે છે કે, એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકથી કેવી રીતે જવાબ આપવો. તેમણે આરોપ લગાવ્યો કે, દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસ્લિમોનો હોવો જોઈએ તેવા સ્ટેન્ડ સાથે કોંગ્રેસ ભારતને ભાગલા તરફ લઈ જવા માંગતી હતી, પરંતુ લોકોએ તેની યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે, મોદી વડા પ્રધાન બન્યા પછી સંસાધન પર ગરીબો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓનો પ્રથમ અધિકાર છે.