રામ વગર અયોધ્યા, ‘અયોધ્યા’ છે જ નહીંઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યામાં ટ્રેન થકી પહોંચ્યા હતા. અયોધ્યામાં રામકથા પાર્કના ઉદ્ઘાટન બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે આપ સૌની વચ્ચે અયોધ્યામાં આ રામકથા પાર્કમાં આવીને આનંદ થઈ રહ્યો છે. આપણે સૌ રામકથાના મહત્વને જાણીએ છીએ. એમ કહી શકાય કે ભારતીય જીવન મૂલ્યોના આદર્શ અને ઉપદેશ રામાયણમાં સમાયેલા છે.
રામનાથ કોવિંદે આગળ કહ્યું કે રામ વગર અયોધ્યા, ‘અયોધ્યા’ છે જ નહીં. અયોધ્યા તો ત્યાં છે, જ્યાં રામ છે. આ નગરીમાં પ્રભુ રામ હંમેશા બિરાજમાન છે, એટલા માટે આ સ્થાન સાચા અર્થમાં અયોધ્યામાં છે. અયોધ્યાનો શાબ્દિક અર્થ છે – ‘જેની સાથે યુદ્ધ કરવું અશક્ય છે.’ રઘુ, દિલીપ, અજ, દશરથ અને રામ જેવા રઘુવંશીઓના રાજાઓના પરાક્રમ તથા શક્તિના કારણે તેમની રાજધાની અયોધ્યાને અપરાજિત માનવામાં આવતી હતી. એટલા માટે આ નગરીનું ‘અયોધ્યા’ નામ સર્વદા સાર્થક રહેશે. રાષ્ટ્રપતિએ આગળ કહ્યું કે રામાયણમાં દર્શનની સાથે-સાથે આદર્શ આચાર સંહિતા પણ ઉપલબ્ધ છે, જે જીવનના પ્રત્યેક પક્ષમાં આપણું માર્ગદર્શન કરે છે.