![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/114062205__111510613_gettyimages-1209025701.jpg)
ભારતમાં વધતા સંક્રમણથી WHO ચિંતિત, શિયાળામાં હજુ કેસ વધશે તેવી ચેતવણી આપી
અનલૉક બાદ ભારતમાં કોરોનાવાઇરસ બેકાબૂ બન્યો છે. દેશમાં પોઝિટિવ કેસનો આંકડો દિવસે દિવસે નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. કેટલાયે દેશોએ આ મહામારી પર કાબૂ મેળવી લીધો છે, પણ ભારતમાં સ્થિતિ સતત સંક્રમણ વધતાં વિશ્વ આરોગ્ય સંસ્થા પણ ચિંતિત છે. WHOના હેલ્થ ઈમર્જન્સી પ્રોગ્રામના ડૉ. માઇકલ રેયાને કહ્યું કે, ભારત ઉપરાંત યૂરોપ તથા મધ્ય અને દક્ષિણ અમેરિકામાં વધતા કેસ ચિંતાનો વિષય છે. ભારત માટે ચિંતાની બીજુ કારણ એ છે કે, આગામી દિવસોમાં અહીં શિયાળો આવશે. શિયાળામાં લોકો ઘરમાં વધુ રહેશે આ સ્થિતિમાં સંક્રમણ પણ વધુ થશે. અનેક અટકળોની વચ્ચે સ્પષ્ટતા કરતા ડૉ. રેયાને કહ્યું કે, આ મહામારી લાંબી ચાલશે કારણ કે, વાઇરસ ક્યાંય જવાનો નથી. આવા સમયે સરકાર જ નહીં દરેક વ્યક્તિએ સતર્કતાથી કામ કરવું પડશે. મહત્ત્વનું છે કે, ભારતમાં સંક્રમિતોનો આંકડો 53 લાખને પાર કરી ગયો છે અને મૃત્યુઆંક લગભગ 86 હજાર થઈ ચૂક્યો છે. આ ઉપરાંત રોજેરોજ 95 હજારથી વધુ કેસ અને 1000થી વધુ લોકોનાં મોત થઈ રહ્યા છે. આ આંકડાઓને જોતા હવે એ દિવસ પણ દૂર નથી કે, જ્યારે સંક્રમિતોની દૃષ્ટિએ ભારત અમેરિકાથી પણ આગળ નીકળી જાય.