![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/12/21345.jpg)
દેશમાં જાન્યુઆરીના મધ્ય બાદ વેકસીન સંભવ : હર્ષવર્ધન
દેશમાં કોરોના વાયરસનો સૌથી ખરાબ તબકકો પુરો થયો છે તેવો સંકેત મળતા કેન્દ્રનાં આરોગ્ય મંત્રી શ્રી ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે જાન્યુઆરીનાં બીજા સપ્તાહમાં કોરોનાની વેકસીન તૈયાર થઈ જશે. આરોગ્યમંત્રીએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજય સરકારો છેલ્લા ચાર માસથી વેકસીનેશનની તૈયારી કરી રહી છે અને તે પૂર્ણ થવામાં છે તથા વેકસીનની પ્રાયોરીટી પણ નકકી થઈ છે.
દેશમાં હાલ જે ત્રણ વેકસીન આખરી તબકકામાં છે તેને તાકીદનાં ઉપયોગથી મંજુરી આપવાની પ્રક્રિયા ઓથોરીટી કરી રહી છે તથા સલામતીને પ્રાથમિકતા આપીને જ મંજુરી અપાશે. શ્રી હર્ષવર્ધને એક મુલાકાતમાં જણાવ્યું કે મારૂ અંગત માનવુ છે કે દેશમા કોરોનાનો સૌથી ખરાબ તબકકો પુરો થયો છે પણ તેનાથી લોકોએ જરા પણ બેદરકાર બનવાની જરૂર નથી.આપણે કોરોના પ્રોટોકોલનુ પાલન કરવાનું જ છે અને જરાપણ બેદરકારી આપણને પાલવે તેમ નથી. આરોગ્ય મંત્રીએ કહ્યું કે દેશમાં હાલ ત્રણ લાખ એકટીવ કેસ છે જે થોડા માસ પૂર્વે 10 લાખ હતા. દેશમાં રીકવરી રેટ 95 થી 96 ટકા રહ્યા છે અને અમેરીકા-બ્રાઝીલ-રશીયા કરતાં પણ ભારતનો રીકવરી રેટ ઉંચો છે.
હર્ષવર્ધને કહ્યું કે કોરોના સામે સૌથી મહત્વની કાળજી માસ્ક, હાથ ધોવા અને સોશ્યલ ડીસ્ટન્સ જ છે.શ્રી હર્ષવર્ધને કહ્યું કે જેમ પોલીયોના સૌથી વધુ કેસ છતા 25 વર્ષમાં ભારત પોલીયો મુકત બન્યુ તે આપણે વેકસીનેશનની ક્ષમતા ધરાવે છે. તેઓએ કહ્યું કે જાન્યુઆરીના બીજા સપ્તાહથી જ દેશમાં મોટાપાયે વેકસીનેશન શરૂ થશે તેવો અમારો અંદાજ છે. દેશભરમાં આ મામલે ખાસ તાલીમબદ્ધ કર્મચારીઓની ફૌજ તૈયાર છે અને કો-વિન પ્લેટફોર્મ પર તમામ કામગીરી પારદર્શક ઓનલાઈન થશે બે ડોઝ બાદ દરેકને વેકસીનેશનનું પ્રમાણપત્ર મળશે.