મદુરાઈ પાસે ટ્રેનમાં આગ, 9 લોકોના મોત
તમિલનાડુના મદુરાઈ રેલવે સ્ટેશન પર શનિવારે વહેલી સવારે મોટી દુર્ઘટના ઘટી. અહીં એક યાત્રી ટ્રેનના કોચની અંદર આગ લાગવાથી 9 જેટલા લોકો જીવતા ભૂંજાયા. આ ઉપરાંત અન્ય 20 જેટલા લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. રેલવે સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના લખનઉ-રામેશ્વરમ એક્સપ્રેસમાં ઘટી. તમામ આઠ પીડિતો યુપીના રહીશ હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ જે કોચમાં આગ લાગી તેમાં કુલ 55 મુસાફરો હતા.
મળતી માહિતી મુજબ મદુરાઈ રેલવે સ્ટેશન પર યાત્રી ટ્રેનના એક કોચમાં અચાનક ભીષણ આગ લાગી. આગ સવારે 5.15 વાગ્યાની આજુબાજુ લાગી. મદુરાઈના ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે પુષ્ટિ કરતા કહ્યું કે 9 લોકોના મોત થયા છે. 20 લોકો ઘાયલ થયા છે જેમને મદુરાઈની ગવર્મેન્ટ રાજાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બચાવ કાર્ય ચાલુ છે.
રેલવેના જણાવ્યાં મુજબ સ્ટેશન અધિકારી દ્વારા 26-8-23ના રોજ સવારે 5.15 વાગે મદુરાઈ યાર્ડમાં ખાનગી પાર્ટી કોચમાં આગ લાગવાની સૂચના આપવામાં આવી. તરત ફાયર સર્વિસને સૂચના આપવામાં આવી અને ફાયર ટેન્ડર અહીં 5.45 વાગે પહોંચ્યા. 7.15 વાગે આગ બૂઝાઈ લેવામાં આવી. કોઈ અન્ય કોચને કોઈ નુકસાન થયું નથી. આ એક ખાનગી પાર્ટી કોચ છે જેને કાલે નાગરકોઈલ જંક્શન પર જોડવામાં આવ્યો હતો. પાર્ટી કોચને અલગ કરીને મદુરાઈ સ્ટેબલિંગ લાઈન પર રાખવામાં આવ્યો છે.