વિશાખાપટ્ટનમમાં ઝેરી ગેસ લીકેજ થતા અફડાતફડી, ૫૦૦૦ બીમાર, ૮ના મોત
રખેવાળ, આંધ્રપ્રદેશ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં ગુરૂવારના રોજ રૂંવાડા અધ્ધર કરનારી ઘટના સામે આવી છે. અહીં એક ફાર્મા કંપનીમાં ઝેરી ગેસ લીક થયો ત્યારબાદ સ્થિતિ વણસી છે. સ્થાનિક પ્રશાસન આસપાસના વિસ્તારને ખાલી કરાવામાં લાગી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે. સૌથી વધારે અસર બાળકો અને વૃદ્ધો પર જોવા મળી રહી છે. મળતી માહિતી પ્રમાણે ૫૦૦૦ લોકો બીમાર થયા છે અને ૮ લોકોના મોતના સમાચાર આવ્યા છે.
ગેસ લીકેજ થયા બાદ ૧૫૦થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અહીં ૨૦ લોકોની હાલત ખૂબ જ ગંભીર કહેવાય છે. તેમાં મોટાભાગે બાળકો અને વૃદ્ધો છે. તેમની સ્થિતિ બગડતી દેખાય છે.
આ લોકોને સરકારી હોસ્પિટલની સાથો સાથ ખાનગી હોસ્પિટલોમાં પણ લઇ જવાઇ રહ્યા છે. આ સિવાય કંપની આસપાસની તમામ હોસ્પિટલોને એલર્ટ પર રાખ્યા છે.
સ્થાનિક પ્રશાસનના મતે સતત એમ્બયુલન્સમાં લોકોને લાવવામાં આવી રહ્યા છે. અત્યારે શરૂઆતમાં ૨૦૦૦ બેડ તૈયાર કરાયા છે જેથી કરીને કોઇપણ સ્થિતિને ઉકેલી શકાય. આખા વિસ્તારને ખાલી કરી દેવાયો.
પાંચ ગામને ખાલી કરી દેવાયા છે. સેંકડો લોકોને માથાનો દુખાવો, ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફની સાથે હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી રહ્યા છે.