![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/100-5.png)
આજે મધ્ય પ્રદેશમાં ભારત જોડો યાત્રામાં પ્રિયંકા ગાંધી જોડાવાના છે
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, રાહુલ ગાંધીનાં નેતૃત્વ નીચેની ભારત જોડો યાત્રા બુધવારે બુરહાનપુર પાસે મધ્ય પ્રદેશમાં પ્રવેશશે. ત્યારે, તે યાત્રામાં જોડાવાના છે. તેમ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આજે જણાવ્યું હતું.
જયરામ રમેશે તેઓના ટિવટર ઉપર જણાવ્યું હતું કે, યાત્રાનો આજે વિરામનો દિવસ છે. બુધવારથી તે યાત્રા ફરી શરૂ થશે અને મધ્ય પ્રદેશમાં બુરહાનપુર પાસે પ્રવેશ કરશે. ત્યારે પ્રિયંકા ગાંધી વાડ્રા યાત્રામાં જોડાશે અને ચાર દિવસ સુધી સાથે રહેશે. જયરામ રમેશ પક્ષના એક મહામંત્રી છે તેઓ સંપર્ક વિભાગ સંભાળે છે. તેમણે આ માહિતી હિન્દીમાં પોતાના ટિવટ ઉપર આપી હતી.
તે સર્વ વિદિત છે કે પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની તેઓની ભારત જોડો યાત્રા તા. ૭મી સપ્ટેમ્બરે કન્યાકુમારી (તમિળનાડુ)થી શરૂ કરી છે. તે અત્યાર સુધીમાં તમિળનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને મહારાષ્ટ્રમાંથી પસાર થઇ ચુકી છે અને બુધવારે મધ્ય પ્રદેશમાં બુરહાનપુર પાસે પ્રવેશવાની છે.
આ દક્ષિણ થી ઉત્તર (જમ્મુ) સુધીની યાત્રાને હજી સુધીમાં મળેલા લોક પ્રતિસાદથી ઉત્સાહિત થઈ, કોંગ્રેસના કેટલાક વરિષ્ટ નેતાઓ આગામી વર્ષે (૨૦૨૩માં) કચ્છનાં લખતર પાસેથી શરૂ કરી અરૂણાચલના દક્ષિણ ભાગે આવેલી તેઝૂ નદીનાં તટ પરનાં તેઝૂગામ સુધીની પશ્ચિમ થી પૂર્વ સુધીની પદયાત્રા યોજવા વિચારી રહ્યા છે, તેમ પણ જાણવા મળ્યું છે. તેઓ માને છે કે રાહુલની વર્તમાન યાત્રા અને યોજાઈ શકે તો ભાવિ યાત્રા ૨૦૨૪માં કોંગ્રેસને ઘણી સહાયરૂપ બનશે.