દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 95 લાખને પાર, અત્યારસુધીમાં 99.79 લાખ કેસ
દેશમાં કોરોનાથી રિકવર થનારા દર્દીઓની સંખ્યાનો આંકડો 95 લાખને પાર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 30 હજાર 891થી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો છે. 26 હજાર 754 નવા કેસ નોંધાયા. આ દરમિયાન 338 લોકોનાં મોત પણ થયાં. દેશમાં અત્યારસુધીમાં કુલ 95 લાખ 20 હજાર 44 લોકો સાજા થઈ ચૂક્યા છે. સંક્રમિતોનો કુલ આંકડો 99 લાખ 77 હજાર 834 છે.
આ રીતે દેશમાં અત્યારસુધીમાં 95%થી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. એક્ટિવ કેસની સંખ્યા પણ સતત ઘટી રહી છે. એક્ટિવ કેસ એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેમની સંખ્યા 3 લાખ 13 હજાર 831 છે, સાથે જ એક લાખ 44 હજાર 789 લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.
દિલ્હીમાં કોરોનાની ગતિ પર સતત લગામ લાગતી હોય તેવું લાગી રહ્યું છે. ગુરુવારે અહીં 90 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં કોરોનાના માત્ર 1363 કેસ નોંધાયા હતા. આ પહેલાં 31 ઓગસ્ટે 1358 કેસ નોંધાયા હતા, સાથે જ 2391 લોકોએ કોરોનાને હરાવ્યો અને 35 લોકોનાં મોત થયાં.
દિલ્હીમાં હવે કુલ 75 લાખ 41 હજાર 348 ટેસ્ટ કરાયા છે. અહીં પોઝિટિવિટી રેટમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુરુવારે અહીં પોઝિટિવિટી રેટ 1.51% રેકોર્ડ થયો. આ પહેલાં સોમવારે સૌથી ઓછો પોઝિટિવિટી રેટ 2.1% રેકોર્ડ થયો હતો. 15 ડિસેમ્બરે સંક્રમણની ટકાવારી 1.90% અને 16 ડિસેમ્બરે 1.96% નોંધાઈ હતી.
Tags Ahmedabad Banaskantha Gujarat india