નવા કૃષિ કાનૂનથી ખેડૂતોને વિશાળ માર્કેટ, ટેકનોલોજી અને નવું મૂડીરોકાણ કરશે
દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં કેન્દ્રની મોદી સરકાર એક પણ પ્લેટફોર્મ પર આ આંદોલન સમેટી લેવાની અપીલ સાથે ખેડૂતોને ઓફરો આપવાનું ચૂકતી નથી. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝની 93મી વાર્ષિક સભાને સંબોધતા ફરી એક વખત જણાવ્યું હતું કે નવા કૃષિ કાયદા ખેડૂતના હિતમાં છે અને તેના કારણે ખેડૂતો તેમના ઉત્પાદનોના વધુ સારા અને સ્પર્ધાત્મક ભાવ માર્કેટીંગ યાર્ડ બહાર વેચીને પણ મેળવી શકશે. શ્રી મોદીએ જણાવ્યું કે સરકાર ખેડૂતોના હિતોનું રક્ષણ કરવા પ્રતિબધ્ધ છે અને તેથી કૃષિ કાનૂનોમાં સુધારા કર્યા છે. ખેડૂતોને નવા માર્કેટ મળે, ટેકનોલોજી અને મૂડી રોકાણ મળે તે માટે દ્વાર ખોલી નાખ્યા છે. શ્રી મોદીએ ખેડૂતોની સાથે વાતચીત માટે સરકાર હરહંમેશ તૈયાર હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે, સંસદમાં પૂરેપૂરી ચર્ચા બાદ આ કાનૂન પાસ કરાવાયો છે. શ્રી મોદીએ તેમના વીડિયો કોન્ફરન્સ સંબોધનમાં કહ્યું કે અત્યાર સુધી ખેડૂતોના ઉત્પાદન કયા વેચવા તે એક દિવાલ બનાવવામાં આવી હતી. સરકારે તે દૂર કરી છે અને તમામ ભવિષ્યમાં જે કાઇ વિઘ્નો હશે તે દૂર કરશે. ખેડૂતોને માટે ડીજીટલ પ્લેટફોર્મનો વિકલ્પ છે. સરકાર એગ્રીકલ્ચરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફૂડ પ્રોસેસીંગ, કોલ્ડ સ્ટોરેજ વગેરે પણ ઉપલબ્ધ બનાવી રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે કોરોના સંકટમાં દેશમાં લોકોના જીવનને સરકારે સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે. છેલ્લા છ વર્ષમાં સરકાર પૂર્ણ રીતે 130 કરોડ દેશવાસીઓને સમર્પિત રહી છે.