કોરોના સંકટ વચ્ચે આજથી સંસદનું ચોમાસુ સત્ર
ન્યુદિલ્હી : સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આ વખતે સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક નહીં યોજાય. આ વખતે બંને ગૃહમાં ગૃહના નેતા અને વિપક્ષના નેતાને બાદ કરતાં કોઈ પણ સભ્યની બેસવાની સીટ નક્કી કરવામાં આવી નથી. આ વખતે સતત ૧૮ દિવસ સુધી સંસદ ચાલશે. કોરોના અને લોકડાઉનના કારણે આ વખતે બે સંસદ સત્ર વચ્ચે આશરે ૬ મહિનાનું અંતર છે.
આ વખતે લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે. રોજ સવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે. જ્યારે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી લોકસભા સત્ર ચાલશે. વચ્ચેના બે કલાક દરમિયાન સંસદને સેનિટાઇઝ કરવાનું કામ કરાશે. કોવિડ-૧૯ના કારણે સંસદ સત્રમાં ભાગ લેનારા સાંસદો, લોકસભા તથા રાજ્યસભાના કર્મચારીઓના RT- PCR કોરોના ટેસ્ટ કરાવવા પડશે. ચોમાસુ સત્રમાં વિપક્ષ અનેક મુદ્દે સરકારને ઘેરી શકે છે. ભારત-ચીન સરહદ વિવાદ, કોરોનાની સ્થિતિ, અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ, લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની સ્થિતિ અને ફેસબુકને લઈ શરૂ થયેલો તાજેતરનો વિવાદ સામેલ છે.
આ તમામ મુદ્દા પર કોંગ્રેસ સહિત વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી છે. લોકડાઉન બાદ પ્રથમ વખત સંસદનું સત્ર યોજાઈ છે ત્યારે વિપક્ષ સરકાર પર પ્રહાર કરવાની વ્યૂહરચના બનાવી છે. ૨૩ માર્ચે બજેટ સત્ર પૂરું થયા બાદ સરકારે ૧૧ અધ્યાદેશને મંજૂરી આપી છે.