સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું- બાકી રહેલા હપ્તા માફ ન કરી શકીએ, જોકે પેમેન્ટનું દબાણ ઘટાડી દઈશું
લોકડાઉનમાં RBI તરફથી આપવામાં આવેલા લોન મોરેટોરિયમને આગળ વધારવા અને વ્યાજમાં છૂટ આપવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે. સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા દલીલ કરી રહ્યાં છે. તેમણે કહ્યું વ્યાજમાં છૂટ ન આપી શકીએ પરંતુ પેમેન્ટનું દબાણી ઘટાડીશું. બેન્કિંગ સેકટર ઈકોનોમિની કરોડરજ્જુ છે. અમે અર્થવ્યવસ્થાને નબળી બનાવે તેવો કોઈ નિર્ણય લઈ શકીશું નહિ.
હવે મોરેટોરિયમના 6 મહિના પુુરા થઈ ચૂક્યા છે, તો ગ્રાહકો કહી રહ્યાં છે કે તેને વધારવા જોઈએ. તેનાથી પણ મહત્વની માંગ એ છે કે મોરેટોરિયમ પીરિયડનું વ્યાજ માફ થવું જોઈએ. કારણ કે વ્યાજ પર વ્યાજ વસુલવું એ તો એક રીતે બેવડો માર હશે. તેનું કારણ એ છે કે RBIએ માત્ર EMI ટાળવાની છુટ આપી હતી, જોકે બાકી નીકળતા હપ્તા પર લાગનાર વ્યાજ તો ચુકવવું પડશે.
સુપ્રીમ કોર્ટમાં 6 મહીનાના મોરેટોરિયમ સમયમાં વ્યાજ માફ કરવાને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ મામલાની સુનાવણી પણ જસ્ટિસ ભૂષણની અધ્યક્ષતાવાળી બેન્ચ કરી રહી છે. આ મામલામાં પણ બેન્ચે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે. મંગળવારે આ મામલામાં કોઈ સુનાવણી થઈ ન હતી.
કોરોના સંક્રમણની આર્થિક અસરને જોતા આરબીઆઈએ માર્ચમાં ત્રણ મહિના માટે મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સુવિધા 1 માર્ચથી 31 મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. પછીથી આરબીઆઈએ વધુ ત્રણ મહિના માટે એટલે કે 31 ઓગસ્ટ સુધી મુદત વધારી હતી. એટલે કે કુલ 6 મહીનાની મોરેટોરિયમ સુવિધા આપવામાં આવી છે. 31 ઓગસ્ટ આ સુવિધા પુરી થઈ ગઈ છે.
જ્યારે કોઈ પ્રાકૃતિક કે અન્ય મુશ્કેલીના કારણે લોન લેનારની નાણાંકીય સ્થિત ખરાબ થઈ જાય છે તો લોન આપનાર તરફથી પેમેન્ટમાં થોડા સમયની રાહત આપવામાં આવે છે. કોરોનાના સંકટના કારણે દેશમાં પણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આ કારણે મોટી સંખ્યામાં લોકો માટે રોજગારી કમાવવા અંગેનું સંકટ સર્જાયું હતું. આ સંકટનો સામનો કરવા માટે આરબીઆઈએ 6 મહિનાના મોરેટોરિયમની સુવિધા આપી હતી. આ સમય દરમિયાન તમામ પ્રકારની લોન લેનારને હપ્તાહના પેમેન્ટની ચૂકવણી કરવામાં રાહત મળી હતી.
આરબીઆઈએ આપેલી મોરેટોરિયમ સુવિધા 31 ઓગસ્ટે સમાપ્ત થઈ ગઈ છે. હવે તેનો સમય વધારવાને લઈને સુપ્રીમ કોર્ટ પર બધાની નજર છે. જો સુપ્રીમ કોર્ટ તરફથી મોરેટોરિયમનો સમય વધારવામાં ન આવે તો આ સુવિધાનો લાભ લેનાર તમામ લોકોએ સપ્ટેમ્બરથી પોતાની લોનના હપ્તાની ચૂકવણી કરવી પડશે. જોકે ઘણા બેન્કરોએ આરબીઆઈને મોરેટોરિયમ ન વધારવાની અપીલ કરી છે.