![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/104-2.png)
ઇડબ્લ્યુએસ ક્વોટાના વિરોધીઓને તમિલનાડુના સીએમ સ્ટાલીને એક થવાની અપીલ કરી
સુપ્રીમ કોર્ટ દ્વારા ઇડબ્લ્યુએસ ક્વોટા પર આપવામાં આવેલ ચુકાદા અંગે રાજકારણ શરૂ થઇ ગયું છે. આ દરમિયાન તમિલનાડુના મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિને આ ચુકાદાનો વિરોધ શરૂ કરી દીધો છે. તેમણે ઇડબ્લ્યુએસ ક્વોટાનો વિરોધ કરનારા લોકો અને સંસ્થાઓને એકજૂથ થવાની અપીલ કરી છે.સ્ટાલિને જણાવ્યું છે કે ૨૦૧૯માં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ઇડબ્લ્યુએસ કવોટાની વિરુદ્ધ સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય દાયકાઓથી ચલાવવામાં આવતા સામાજિક અભિયાનને આંચકો છે. આ દરમિયાન ભાજપે સુપ્રીમ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ છે જ્યારે કોંગ્રેસે અલગ જ સૂર આલાપ્યો છે. સ્ટાલિને જણાવ્યું છે કે આ ચુકાદાના તમામ કાયદાકીય પાસાઓની સમીક્ષા કર્યા પછી આગામી પગલું ભરવામાં આવશે.તમિલનાડુ સરકારમાં ડીએમકેના સહયોગી વીસીકેએ પણ ચુકાદા અંગે નારાજગી વ્યક્ત કરી છે. વીસીકે ચીફ થોલ થિરુમાલાવલને ઇડબ્લ્યુએસ ક્વોટાને સંઘ પરિવારનો એજન્ડા ગણાવ્યો છે. બીજી તરફ કેન્દ્રમાં સત્તા ધરાવતા ભાજપે ઇડબ્લ્યુએસ ક્વોટા હેઠળ સર્વણ ગરીબોને ૧૦ ટકા અનામત આપવાના સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખુશી વ્યક્ત કરી છે.ભાજપે જણાવ્યું છે કે ફરી એક વખત સાબિત થઇ ગયું છે કે નરેન્દ્ર મોદી સરકાર તમામ લોકોને બંધારણ અનુસાર કોઇ પણ પ્રકારના ભેદભાવ વગર તમામને સમાન તક આપી રહી છે. મીડિયાને સંબોધતા પક્ષ પ્રવક્તા ગૌરવ ભાટિયાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો મોદી સરકારના બંધારણના ૧૦૩માં સંશોધનના નિર્ણય પર મહોર છે. તેમણે જણાવ્યું હતું કે આનાથી સાબિત થઇ જાય છે કે ગરીબોની સ્થિતિ વધુ સારી બનાવવા અને તેમની સામાજિક આર્થિક સ્થિતિને સુધારવા માટે વડાપ્રધાનનું વિઝન સ્પષ્ટ છે. બીજી તરફ મુખ્ય વિપક્ષ કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ઇડબ્લ્યુએસ પર સુપ્રી૫મ કોર્ટના ચુકાદાનું સ્વાગત કર્યુ છે. જો કે કોંગ્રેસ નેતા ઉદિત રાજે ચુકાદા અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. તેમણે જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટ અપર કાસ્ટ માઇન્ડસેટ વાળી છે.જયરામ રમેશે આ ચુકાદાની ક્રેડિટ અગાઉની કોંગ્રેસ સરકારને આપી છે. રમેશના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૦૫-૦૬માં તેમણે સિન્હો આયોગની રચના કરી હતી. જેણે જુલાઇ, ૨૦૧૦માં પોતાનો રિપોર્ટ ફાઇલ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ત્યારબાદ મોટા પાયે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ૨૦૧૪માં બિલ પણ તૈયાર થઇ ગયું હતું. મોદી સરકારને બિલ લાગુ કરવામાં પાંચ વર્ષનો સમય લાગ્યો હતો.