શ્રદ્ધા મર્ડર કેસ: કોર્ટે આપી મંજૂરી આફતાબનો નાર્કો ટેસ્ટ 1 ડિસેમ્બરે
શ્રદ્ધા મર્ડર કેસ જેણે દેશભરમાં ચર્ચા જગાવી છે અને એક ડરનો માહોલ પણ પેદા કર્યો છે. તેવા આ ચર્ચિત કેસમાં રોજ એક પછી એક મોટા ખુલાસાઓ થઇ રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબનો 1 ડિસેમ્બરે નાર્કો ટેસ્ટ થશે. દિલ્હી પોલીસને કોર્ટમાંથી મંજૂરી મળી ગઈ છે. દિલ્હી પોલીસે 1 ડિસેમ્બરે કોર્ટમાં અરજી કરી હતી. અત્યાર સુધી નાર્કો ટેસ્ટની અંતિમ તારીખ 5 ડિસેમ્બર હતી.
આફતાબને લઈ જતી પોલીસ વાન પર ગઈ કાલે હુમલો થયો હતો. જે બાદ પોલીસે આફતાબની જેલ વાન પર હુમલો કરનારા લોકોની અટકાયત કરી હતી. જેલ વાન પર હુમલા બાદ આરોપી આફતાબની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હુમલાખોરોએ પોતાને હિંદુ સેનાના હોવાનું જણાવ્યું હતું. જેમાં એકનું નામ કુલદીપ ઠાકુર અને બીજાનું નામ નિગમ ગુર્જર જણાવવામાં આવી રહ્યું છે.
આજે ફરી આફતાબને FSL રોહિણી લેબમાં લાવવામાં આવશે. આથી એફએસએલની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, આફતાબ ભારે સુરક્ષા વચ્ચે સવારે સાડા આઠ વાગ્યે તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો.
કુલદીપ કારના વેચાણ અને ખરીદીનું કામ કરે છે જ્યારે નિગમ એક ટ્રક ડ્રાઈવર છે, આ બંને વિરુદ્ધ પ્રશાંત વિહાર પોલીસ સ્ટેશનમાં IPC 186/353/147/148/149 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આફતાબ પર હુમલો કરનારા બંને ગુરુગ્રામના રહેવાસી છે. તેઓ પોતાને હિંદુ સેનાના ગણાવી રહ્યાં છે, તેની ચકાસણી કરવામાં આવી રહી છે. બાકીની શોધખોળ ચાલુ છે. આજે આફતાબનો પોલીગ્રાફ ટેસ્ટ પણ થશે. શ્રદ્ધા મર્ડર કેસના આરોપી આફતાબે પોલીગ્રાફ ટેસ્ટ દરમિયાન કહ્યું હતું કે, તેને સિગારેટ પીવાની ઈચ્છા થતી હતી. તેણે એફએસએલના નિષ્ણાતો પાસેથી સિગારેટ મંગાવી હતી. પરંતુ, આરોપીને સિગારેટ આપવામાં આવી ન હતી. તેને સિગારેટ ન આપવાથી તે બેચેન બની ગયો હતો.