પુલવામામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા, એક જવાન શહિદ
જમ્મુ-કાશ્મીરમાં પુલવામાના જદૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ શનિવારે સવારે ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. સેનાનો એક જવાન પણ આ એન્કાઉન્ટરમાં શહીદ થયો છે. આંતકીઓની ઓળખ થઈ શકી નથી. વિસ્તારમાં હાલ એક આતંકીના સંતાયા હોવાની આશંકા છે. એવામાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા શુક્રવાર બપોરે સુરક્ષાદળોએ શોપિયાંના કિલૂરા વિસ્તારમાં ચાર આતંકીઓને ઠાર માર્યા હતા, જ્યારે એકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી પ્રમાણે, શોપિયામાં ધરપકડ કરાયેલા આંતકી પાસેથી મળેલા ઈનપુટના આધારે જ શુક્રવારે મોડી રાતે જદૂરામાં આતંકીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. સુરક્ષાદળોના પહોંચતાની સાથે જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.જવાબી કાર્યવાહીમાં ત્રણ આતંકી માર્યા ગયા છે.
છેલ્લા 2 સપ્તાહમાં ક્યારે કેટલા આતંકી ઠાર
- 17 અને 18 ઓગસ્ટે બારામૂલાના કરીરી વિસ્તારમાં એન્કાઉન્ટ થયું હતું. આ દરમિયાન 3 આતંકવાદીઓને સુરક્ષાદળોએ ઠાર માર્યા હતા. જેમાં લશ્કરના બે કમાંડર સજ્જાદ ઉર્ફ હૈદર અને ઉસ્માન સામેલ હતા. હૈદર બાંદીપોરા હત્યાઓનો મુખ્ય કાવતરું ઘડનારો હતો.તે યુવાનોને આતંકી સંગઠનમાં દાખલ કરતો હતો. વિદેશી આતંકી ઉસ્માને ભાજપ નેતા વસીમ બારી અને તેના પિતા અને ભાઈની હત્યા કરી હતી.
- 19 ઓગસ્ટે દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે બે એન્કાઉન્ટર થયા હતા. આ દરમિયાન એક આતંકવાદી ઠાર મરાયો હતો. આ દિવસે હંદવાડાના ગનીપોરામાં બે આતંકી ઠાર મરાયા હતા.
- 28 ઓગસ્ટે શોપિયાંના કિલૂરા વિસ્તારમાં સુરક્ષાદળોએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. એકની ધરપકડ કરવામાં આવી હતી. આ અલ બદ્ર આતંકી સંગઠન સાથે જોડાયેલા હતા. સેનાએ જણાવ્યું કે, આતંકીઓ પાસેથી બે AK-47 અને ત્રણ પિસ્તોલ મળી આવી છે. અહીંયા છેલ્લા 2 સપ્તાહમાં અત્યાર સુધી 10 આતંકવાદી માર્યા ગયા છે.