![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/10/1-2.png)
દેશની હવાઈ સીમાની સુરક્ષા કરતા સપુતોને સલામ, આજે એરફોર્સ ડે
ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ભારતની હવાઈ સીમાઓનું સંરક્ષણ કરતા આપણા સપુતોને બિરદાવતો દિવસ એટલે નેશનલ એરફોર્સ ડે. 8 ઓક્ટોબરના રોજ નેશનલ એરફોર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે દેશની રાજધાની દિલ્હીમાં તેનું આયોજન કરવામાં આવે છે પણ આ વખતે પહેલીવાર તેનું આયોજન ચંડીગઢ ખાતે કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે કે, અંગ્રેજોના સમયમાં કેવી રીતે ભારતીય વાયુસેનાની શરૂઆત થઈ, કેવી રીતે ભારતીય જવાનો વાયુસેનામાં જોડાયા, રોયલ સર્વિસ હેઠળ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો અને ત્યારબાદ દેશ આઝાદ થતાં ભારતીય વાયુસેનાનું ફરી નિર્માણ કરવામાં આવ્યું તેનો ઈતિહાસ રોચક છે. દેશના દરેક નાગરિકને ગર્વ થાય તેવા ભારતીય વાયુસેનાના ઈતિહાસ અને વર્તમાન ઉપર એક નજર કરીએ.ભારતીય વાયુ સેના દુનિયાની ચોથી સૌથી મોટી વાયુસેના છે. ઉત્તર પ્રદેશનાં ગાઝિયાબાદમાં સ્થિત હિંડન વાયુસેના સ્ટેશન એશિયામાં સૌથી મોટું છે. ભારતીય વાયુસેના અસ્તિત્વમાં આવ્યા ત્યારથી તેમનું ધ્યેય વાક્ય ‘नभ: स्पृशं दीप्तम्’ નાં રસ્તે ચાલે છે. જેનો અર્થ થાય છે કે ‘ગર્વ સાથે આકાશને આંબવું’. વાયસેનાનાં આ ધ્યેય વાક્યને ભગવત ગીતાનાં 11માં અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાનો રંગ વાદળી, આસમાની વાદળી અને સફેદ છે. વાયુસેનાનો ધ્વજ વાદળી રંગનો હોય છે, જે વાયુસેનાના પ્રતીકથી અલગ હોય છે, જેના પહેલા રાષ્ટ્રધ્વજ એક ચતુર્થમાં રહે છે. મધ્યમાં એક વર્તુળ છે જેમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગોનો સમાવેશ થાય છે.