![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/Untitled-73.jpg)
સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં, 19 ધારાસભ્યોના સમર્થનનો, સરકાર બચાવવાની જવાબદારી સૌની.
રાજસ્થાનમાં સરકાર પાડવાના ષડયંત્ર અને ધારાસભ્યોની સોદાબાજીની ઘટના ચર્ચામાં આવતા દિલ્હીમાં બેઠકનો દોર ચાલુ છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ સહિત 12 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યો દિલ્હી અને હરિયાણાની એક હોટલમાં રોકાયા હોવાની માહિતી મળી છે. નારાજ ધારાસભ્યો સોનિયા ગાંધી સમક્ષ તેમની વાત રજૂ કરી શકે છે. તેના માટે સમય માંગવામા આવ્યો છે. હવે એવા રિપોર્ટ્સ છે કે સચિન પાયલટ ભાજપના નેતાઓના સંપર્કમાં છે. તેમણે 16 કોંગ્રેસ અને 3 અપક્ષ ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. ભાજપનું કહેવું છે કે પહેલા તેઓ ગહલોત સરકારને પાડે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભાજપે મુખ્યમંત્રી પદ આપવાનો ઇનકાર કર્યો છે.
રિપોર્ટ અનુસાર SOGએ નોટિસ મોકલી તેના લીધે સચિન પાયલટ નારાજ છે. આ નોટિસ ધારાસભ્યોની હોર્સ ટ્રેડીંગ મામલામાં ઇશ્યૂ કરવામા આવી છે. તેથી તેમની પૂછપરછ કરવામા આવશે. ગૃહ વિભાગ મુખ્યમંત્રી અશોક ગહલોત હસ્તક છે. તે રીતે SOG દ્વારા આ નોટિસ પાયલટની મુવમેન્ટ જાણવા મોકલવામા આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જોકે SOGએ મુખ્યમંત્રી અશોક ગહલોત સહિત અન્ય મંત્રીઓને પણ નોટિસ મોકલી છે.
મુખ્યમંત્રી અશોક ગહલોત અત્યારે મોરચો સંભાળી રહ્યા છે. તેઓ ધારાસભ્યો સાથે ફોન પર વાતચીત કરી રહ્યા છે. પ્રભારી સાલેહ મોહમ્મદ પણ એક્ટિવ મોડમાં છે. રિપોર્ટ અનુસાર દરેક ધારાસભ્યોને જયપુર બોલાવવામાં આવી શકે છે.
સુરેશ ટાંક, મહેન્દ્રજીત સિંહ માલવીય, ઓમ પ્રકાશ હુડલા, રાજેન્દ્ર બિધુડી, પીઆર મીણા દિલ્હી પહોંચ્યા છે. તે સિવાય ધારાસભ્ય રોહિત બોહરા, ચેતન ડૂડી અને દાનિશ અબરાર પણ રાજધાનીમાં છે. ભાસ્કરે આ ત્રણેય સાથે વાત કરી તો જવાબ મળ્યો કે વ્યક્તિગત કામના લીધે દિલ્હી આવ્યા છે.
મુખ્યમંત્રી અશોક ગહલોતે રવિવારે રાત્રે 8.30 વાગ્યે કેબિનેટ મંત્રીઓની બેઠક કરી હતી. તેમાં 12 મંત્રી અને 12 ધારાસભ્યો હાજર રહ્યા હતા. લગભગ 2 કલાક ચાલેલી આ બેઠકમાં ગહલોતે દરેક મંત્રીઓને નિર્દેશ આપ્યા કે તેઓ તેમના વિસ્તારના ધારાસભ્યો સાથે સંપર્કમાં રહે અને કોઇ જાણકારી મળે તો સૂચના આફે. દરેક મંત્રીઓને તેમના વિસ્તારની મુલાકાત લેવા માટે પણ કહ્યું છે.
ડુંગરપુર અને બાંસવાડાના ધારાસભ્યોને પૈસા આપવાના મામલે ACBએ શનિવારે ત્રણેય અપક્ષ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. તેમાં મુહવાથી ઓમપ્રકાશ હુડલા, અજમેર કિશનગઢના સુરેશ ટાંક અને પાલી મારવાડ જંક્શનના અપક્ષ ધારાસભ્ય ખુશવીરસિંહ સામેલ છે. તપાસમાં સામે આવ્યું છે કે તેમની પાસે મોટી રોકડ હતી. ત્રણેય ધારાસભ્યોએ ધારાસભ્યોને પ્રલોભન આપ્યું હતું. ત્રણેય ધારાસભ્યો સાથે કોંગ્રેસે છેડો ફાડ્યો છે.
મુખ્યમંત્રી અશોક ગહલોતે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના નેતા ગુલાબચંદ કટારિયા, પ્રદેશ અધ્યક્ષ ડો. સતીશ પૂનિયા અને વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડનું નામ લીને કહ્યું- આ લોકો કેન્દ્રના નેતાઓના ઇશારે રાજસ્થાનમાં સરકાર તોડવા માટે રમત રમી રહ્યા છે. એક તરફ રાજ્ય સરકાર કોરોના સામે લડી રહી છે પરંતુ ભાજપ સરકાર પાડવામાં વ્યવસ્થ છે. તેમણે કહ્યું કે જેમ માર્કેટમાં બકરા વેચાય છે એવી જ રીતે ભાજપ ખરીદીને રાજકારણ રમવા માગે છે.