એસ જયશંકરે કહ્યું : ભારત પર અલગ-અલગ આરોપો લગાવવા એ કેનેડાની રાજકીય મજબૂરી
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ભારત પર અલગ-અલગ આરોપો લગાવવા એ કેનેડાની રાજકીય મજબૂરી છે. આવતા વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે, તેથી દેશમાં વોટબેંકની રાજનીતિ ચાલી રહી છે. આને ભારત સાથે કોઈ લેવાદેવા નથી.
એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા વિદેશ મંત્રીએ આ વાત કહી. હકીકતમાં, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં શુક્રવારે 3 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. કેનેડિયન પોલીસે આશંકા વ્યક્ત કરી હતી કે ભારતે આ લોકોને નિજ્જરની હત્યા કરવાનું કામ સોંપ્યું હતું.
આ અંગે જયશંકરે કહ્યું કે, અમે રાહ જોઈ રહ્યા છીએ કે જે 3 ભારતીયો જેમની ધરપકડ થઈ છે કેનેડા તેમના વિશે અમને માહિતી આપે. અમને માત્ર એટલું જાણવા મળ્યું છે કે તે ત્રણેય કોઈ ગેંગ સાથે સંબંધ રાખે છે. આ કેનેડાનો આંતરિક મામલો છે અને આ અંગે હું વધારે કશું જ કહી શકતો નથી.
‘ટ્રુડોની પાર્ટીને સમર્થન નથી, ઘણી પાર્ટીઓ સત્તા માટે ખાલિસ્તાનીઓ પર નિર્ભર છે’: વિદેશ મંત્રીએ કહ્યું કે ભારત વિરુદ્ધ કામ કરતા લોકોને કેનેડામાં આશ્રય આપવામાં આવે છે. ખાસ કરીને જેઓ પંજાબના છે તેઓ કેનેડાથી કામ કરે છે. ખાલિસ્તાન તરફી લોકો કેનેડાની લોકશાહીનો દુરુપયોગ કરી રહ્યા છે. આજે તેઓ કેનેડાની વોટબેંક બની ગયા છે. કેનેડામાં શાસક પક્ષ પાસે સંસદમાં બહુમતી નથી. આવી સ્થિતિમાં સત્તામાં આવવા માટે ઘણી પાર્ટીઓ ખાલિસ્તાની સમર્થકો પર નિર્ભર છે.
વિદેશ મંત્રીએ કહ્યું, “અમે કેનેડાને ઘણી વખત કહ્યું છે કે આવા લોકોને વિઝા ન આપો, તેમને દેશના રાજકારણમાં સામેલ ન કરો. તેઓ કેનેડા, ભારત અને બંને દેશો વચ્ચેના સંબંધો માટે સમસ્યાઓ ઊભી કરી રહ્યા છે. પરંતુ તેઓએ કંઈ કર્યું નથી. ભારતે ખાલિસ્તાન સમર્થક 25 લોકોને ભારત પ્રત્યાર્પિત કરવાની માગ કરી હતી, પરંતુ તેઓ આ પણ માન્યા નહીં.