![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/142-2.png)
રશિયન પ્રમુખે પુતિન ભારતના વખાણ કર્યા, ભારત ખૂબ પ્રગતિ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કર્યા પછી રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને હવે રશિયાના એકતા દિવસે ભારતીયોના ભરપેટ વખણા કર્યા છે. તેમણે ભારતીયોને પ્રતિભાસંપન્ન ગણાવતા કહ્યું કે, આગામી દિવસોમાં ભારત અસાધારણ સફળતા હાંસલ કરશે.વ્લાદિમીર પુતિને રશિયાના એકતા દિવસે રાષ્ટ્રજોગ સંબોધનમાં કહ્યું કે ભારતમાં ખૂબ જ સંભાવનાઓ છે. તેમાં કોઈ શંકા નથી કે ભારત વિકાસની બાબતમાં ઉત્કૃષ્ટ પરિણામો મેળવશે. લગભગ દોઢ અબજના લોકો વાળા દેશમાં આ ક્ષમતા છે. આવો ભારતને જોઈએ, જ્યાં ખૂબ જ પ્રતિભાશાળી લોકો છે. ભારત આગામી દિવસોમાં અભૂતપૂર્વ પ્રગતિ કરશે. પુતિને રશિયન સંસ્કૃતિની પણ પ્રશંસા કરી અને કહ્યું કે, રશિયાની સંસ્કૃતિ અનોખી છે. સંસ્કૃતિ અને ખ્રિસ્તી ધર્મના આધારે રશિયા યુરોપ સાથે જોડાયેલું છે. આ સિવાય તે એશિયાની પણ ઓળખ શૅર કરે છે. રશિયામાં બહુરાષ્ટ્રીય ઓળખ સમાયેલી છે. આ અમારી અનોખી સંસ્કૃતિ છે અને અમને તેના પર ગર્વ છે. જોકે, પુતિને આ પ્રસંગે યુરોપની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, પશ્ચિમી સામ્રાજ્યો એશિયા અને આફ્રિકાને લૂંટીને સમૃદ્ધ થયા છે. ઘણે અંશે અગાઉની સામ્રાજ્યવાદી શક્તિઓના સમયે મેળવાયેલી સમૃદ્ધિ એશિયા અને આફ્રિકાની લૂંટ પર આધારિત છે. આ બધા જ જાણે છે અને યુરોપના સંશોધકો આ વાત છુપાવતા નથી. બીજીબાજુ પુતિને ભારત અને રશિયાના સંબંધોને ઐતિહાસિક ગણાવ્યા હતા. તેમણે તાજેતરમાં જ વડાપ્રધાન મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેમને દેશભક્ત નેતા ગણાવ્યા હતા. પુતિને કહ્યું હતું કે, ભારતની વિદેશ નીતિ સ્વતંત્ર છે અને દેશ હિત પર આધારિત છે. પીએમ મોદી એવા નેતાઓમાં સામેલ છે, જેમના માટે પોતાના દેશનું હિત સર્વોપરી છે. ભારતની સ્વતંત્ર વિદેશ નીતિના કારણે જ રશિયા અને ભારતના સંબંધ હંમેશા મજબૂત અને વિશ્વસનીય રહ્યા છે.