રક્ષામંત્રી આજે ચીન સાથેના સીમા વિવાદ મુદ્દે નિવેદન આપી શકે છે, વિપક્ષ આ મુદ્દા પર ચર્ચાની માગ કરી રહ્યું છે
કોરોનાની વચ્ચે સંસદના પહેલા સત્ર(મોન્સૂન)નો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સીમા વિવાદના મુદ્દા પર આજે લોકસભામાં નિવેદન આપી શકે છે. વિપક્ષ આ મામલામાં ચર્ચાની માગ કરી રહ્યું છે. લદાખમાં ચીનનો સામનો કરવાની રીત, કોરોનાની સ્થિતિ, અર્થવ્યવસ્થામાં ઘટાડો અને બેરોજગારીના મુદ્દાઓ પર વિપક્ષો સરકારને ઘેરવાની કોશિશ કરશે.
લોકસભાની કાર્યવાહી આજે બપોર પછી 3 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. આ પહેલાં સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રાજ્યસભા ચાલશે. સત્રના પ્રથમ દિવસે, એટલે કે સોમવારે રાજ્યસભા પ્રથમ શિફ્ટમાં, જ્યારે લોકસભા બીજી શિફ્ટમાં ચાલતી હતી.
સત્ર શરૂ થતાં પહેલાં રવિવારે થયેલી સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટી(BAC)ની પ્રથમ બેઠકમાં કોંગ્રેસ સહિત બીજા વિપક્ષોએ ચીન અને અર્થવ્યવસ્થાના મુદ્દા પર ચર્ચા કરવાની માગ કરી હતી. જોકે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ એના માટે કોઈ સમય નક્કી કર્યો નથી. આજે બપોર પછી ફરીથી BACની મીટિંગ થશે. એમાં મોન્સૂન સત્રના પહેલા સપ્તાહના શિડ્યૂલ પર ચર્ચા કરવામાં આવશે.
લોકસભામાં પ્રશ્નકાળ ન કરાતા ગૃહમાં હોબાળો મચી ગયો. કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ તેને ગોલ્ડન અવર્સ જણાવતા કહ્યું કે, સરકાર લોકશાહીનું ગળું દબાવવાનો પ્રયાસ કરી રહી છે. આટલા બધા લોકો ગૃહમાં ભેગા થઈ શકે તો પ્રશ્ન પૂછવામાં કોરોના ક્યાં વચ્ચે આવે છે? તેમણે કહ્યું કે, પ્રશ્નકાળમાં સાંસદ જનતા સાથે જોડાયેલા મુદ્દા ઉઠાવે છે. તેને રદ્દ કરવો ખોટું છે. જેના જવાબમાં સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, સરકાર કોઈ ચર્ચા કે સવાલનો જવાબ આપવાથી પાછળ નથી ખસી રહી. છેલ્લા પાંચ વર્ષમાં પ્રશ્નકાળ દરમિયાન રાજ્યસભાનો 60% અને લોકસભાનો 40% સમય વ્યર્થ ગયો છે.
કોરોના મહામારીના પગલે માર્ચમાં લાગુ કરાયેલા લોકડાઉન પછી લાખો મજૂરોના ઘરે પરત ફરતી વખતે જ મોત થયા હતા. હવે કેન્દ્ર સરકારનું કહેવું છે કે તેને એ વાતનો ખ્યાલ નથી કે લોકડાઉન દરમિયાન કેટલા મજૂરોએ જીવ ગુમાવ્યો. કોરોનાકાળમાં સંસદના પ્રથમ સત્રમાં જ સરકારે એ વાતનો સ્વીકાર કર્યો કે પ્રવાસી મજૂરોના મોતનો કોઈ આંકડો નથી.
નવા સભ્યોના શપથ પછી વાઈસ સ્પીકરની ચૂંટણી થઈ, જેમાં NDAના હરિવંશની ધ્વનિમતથી ચૂંટાયા. તેમની સામે UPAના રાજદ નેતા મનોજ ઝા ઉમેદવાર હતા.
ભારત-ચીનની વચ્ચે તણાવની સ્થિતિ પર બબાલની શકયતાની વચ્ચે સોમવાર લોકસભાની કાર્યવાહી શરૂ થતા પહેલા જ સંસદ પરિસરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું આજે અાપણી સેનાના જવાન સીમા પર તહેનાત છે, થોડા સમય પછી બરફનો વરસાદ પણ શરૂ થશે. આવા સમયમાં સંસદમાંથી એવો અવાજ આવવો જોઈએ કે દેશ અને સંસદ જવાનોની સાથે છે.
સત્ર પહેલા લોકસભાના 17 સાંસદોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેમાં મીનાષી લેખી સહિત 12 સાંસદ ભાજપના છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ 30 સાંસદોને કોરોના છે. આ સિવાય સંસદના 50 કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત છે.