![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/09/1_1600839839.jpg)
રોડ-ટ્રેક પાણીમાં ડૂબ્યા, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં, લોકલ ટ્રેનો ઠપ્પ થઈ
મંગળવારે મોડી સાંજથી મુંબઈમાં શરૂ થયેલો વરસાદ બુધવાર સવાર સુધી ચાલ્યો હતો. એને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેનાં ઘણાં સ્ટેશનોના રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયાં છે. આજે પણ વરસાદની શક્યતાને કારણે લોકલ ટ્રેન સેવા અટકાવી દેવામાં આવી છે. મુંબઈના સાયન રેલવે સ્ટેશન પર પણ પાણી ભરાઈ ગયાં છે. ઘણી જગ્યાએ રસ્તાઓ પણ અડધી રાતથી ગાડીઓ ફસાઈ ગઈ છે.
પોલીસે સ્થાનિક લોકોની મદદથી રસ્તાઓ પર ફસાયેલા વાહનચાલકોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા છે. જે વિસ્તારોમાં પાણી ભરાયાં છે ત્યાં બેસ્ટ સર્વિસ અટકાવી દેવામાં આવી છે. પાણી ભરાઈ જવાને કારણે મુંબઈ-ભુવનેશ્વર સ્પેશિયલ ટ્રેનનું રાતે 10 વાગ્યાનું શિડ્યૂલ કરવામાં આવ્યું છે. થાણે રેલવે સ્ટેશન પર ભુવનેશ્વર-મુંબઈ સ્પેશિયલ, હાવડા-મુંબઈ સ્પેશિયલ, હૈદરાબાદ-મુંબઈ સ્પેશિયલ ટ્રેનને રદ કરી દેવામાં આવી છે.
ગોરેગાંવ, સાયન, ચેમ્બુર, કુર્લા, કિંગ સર્કલ, અંધેરી-ઈસ્ટ, સાંતાક્રુઝ જેવા તમામ વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયાં છે. મુંબઈમાં જીવનજરૂરિયાતની વસ્તુઓને બાદ કરતાં સરકારી ઓફિસોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. બીએમસીએ ભારે વરસાદની શક્યતાએ લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી છે.
સાયન-કુર્લા, ચૂનાભટ્ટી-કુર્લા અને મસ્જિદ બંદર સ્ટેશન પર પાણી ભરાઈ જવાને કારણે સીએસએમટી – થાણે અને અને સીએસએમટી-વસઈ વચ્ચે ચાલતી લોકલ ટ્રેન સેવાને રિશિડ્યૂલ કરવામાં આવ્યું છે. ઘણી જગ્યાએ ટ્રેનોને અટકાવી દેવામાં આવી છે અથવા 15-20 મિનિટ મોડી શરૂ કરવામાં આવી છે.
મંગળવારે સવારે 8.30 વાગ્યાથી લઈને બુધવારે સવારે 8.30 વાગ્યા સુધી, કોલાબામાં 147.8 મિમી અને સાંતાક્રુઝમાં 286.4 મિમી વરસાદ થયો છે. આ સમગ્ર સીઝનમાં (જૂનથી અત્યારસુધી) 357.11 મિમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે મુંબઈ, થાણે, રાયગઢ અને સિંધુદુર્ગ માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે.