રાજનાથે કહ્યું- ચીને LAC અને તેના વિસ્તારમાં મોટા પ્રમાણમાં સેના અને દારૂગોળો જમા કર્યો, આપણી સેના પણ તૈયાર
કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર (મોન્સૂન)નો આજે બીજો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ ચીન સાથેના સરહદ વિવાદ મુદ્દે આજે લોકસભામાં નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓ પોતાના વીર જવાનો સાથે છે. મેં લદાખ જઈને આપણા શૂરવીરો સાથે સમય વિતાવ્યો છે અને તમને એ જણાવવા માગું છું કે મેં તેમનાં સાહસ અને શૌર્યને અનુભવ્યાં છે. કર્નલ અને તેમના વીર સાથીઓએ પોતાનું બલિદાન આપ્યું છે.
સદન જાણે છે કે ભારત-ચીનની સરહદનો પ્રશ્ન હજુ ઉકેલાયો નથી. ભારત-ચીનની સરહદનું ટ્રેડિશનલ એલાયનમેન્ટ ચીન માનતું નથી. બન્ને દેશ ભૌગોલિક સ્થિતિઓથી અવગત છે. ચીન માને છે કે ઈતિહાસમાં જે નક્કી થયું એ વિશે બન્ને દેશની અલગ-અલગ વ્યાખ્યા છે. બન્ને દેશો વચ્ચે સમાધાન નીકળી શક્યું નથી.
લદાખના વિસ્તારો ઉપરાંત ચીન અરુણાચલ પ્રદેશની સરહદથી 90 હજાર વર્ગ કિલોમીટર વિસ્તારને પોતાનો બતાવ્યો છે. સરહદનો વિવાદ જટિલ મુદ્દો છે. એમાં ધીરજની જરૂરિઆત છે. શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાન નીકળવું જોઈએ. બન્ને દેશે માની લીધું છે કે સરહદ ઉપર શાંતિ જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે ચીને દક્ષિણ પેન્ગોંગ લેકમાં 29-30 ઓગસ્ટના રોજ બીજીવાર ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો અને વર્તમાન સ્થિતિને બદલવાનો પ્રયાસ કર્યો, પરંતુ આપણા જવાનોએ એ પ્રયાસને નિષ્ફળ કર્યો હતો. ચીન મોટી સંખ્યામાં જવાનોને તહેનાત કરી 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન કરી રહ્યું છે. ચીને સમજૂતીનું સન્માન કર્યું નથી. તેની કાર્યવાહીથી LAC પર અથડામણની સ્થિતિ સર્જાય છે. વર્તમાન સ્થિતિમાં ચીને LAC અને તેના વિસ્તારમાં મોટી સંખ્યામાં સેના અને દારૂગોળાને એકત્ર કરી રહ્યું છે. અમે પણ જવાબી પગલાં ભર્યાં છે.
હું સદનને વિશ્વાસ અપાવવા માગું છું કે આપણી સેના પડકારનો સામનો કરશે. અમને સેના પર ગર્વ છે. હાલની સ્થિતિમાં સંવેદનશીલ મુદ્દા સામેલ છે એટલે વધારે ખુલાસો નહીં કરી શકું.