27 વર્ષ બાદ 30 સપ્ટેમ્બરે આવશે ચુકાદો, અડવાણી, ઉમા, કલ્યાણ સિંહ સહીત 32 આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું પડશે
અયોધ્યામાં બાબરી ગુંબજને તોડી પાડવા મામલે 30 સપ્ટેમ્બરે લખનઉની વિશેષ કોર્ટ ચુકાદો સંભળાવશે. 27 વર્ષ પહેલા અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કારસેવકોએ બાબરી મસ્જિદને ધ્વસ્ત કરી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશમાં વિશેષ જજ એસકે યાદવે આ મામલાણી સુનાવણી પૂર્ણ કરી હતી. પહેલા સુપ્રીમ કોર્ટે 31 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો. પણ, ટ્રાયલની સમીક્ષા બાદ સુપ્રીમ કોર્ટે 30 સપ્ટેમ્બર સુધી ફેંસલો આપવા માટેનો સમય જણાવ્યો છે. આ મામલામાં લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સહીત અનેક મોટા નેતાઓ આરોપી છે. તમામ લોકોએ કોર્ટમાં ચુકાદાના સમયે હાજર રહેવું પડશે.
બાબરી મસ્જિદ ધ્વંસના મામલે 6 ડિસેમ્બર 1992ના રોજ રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ હતી. આ કેસમાં 49 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. તેમાંથી બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર, વિષ્ણુહારી ડાલમિયા સહિત 17 આરોપીઓના મૃત્યુ થઇ ચૂક્યા છે.
અડવાણી, મુરલી મનોહર જોશી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, ઉમા ભારતી સહિત 32 આરોપીઓના નિવેદનો નોંધાયા છે. આરોપીઓમાં વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા, રામ વિલાસ વેદાંતી, સાક્ષી મહારાજ, વીએચપી નેતા ચંપત રાય, મહંત નૃત્ય ગોપાલદાસ અને અન્યનો સમાવેશ થાય છે. તમામને વાંધા નોંધાવવા માટે કોર્ટે બધાને સમય આપ્યો હતો. 2 સપ્ટેમ્બરના રોજ, તમામ કાનૂની કાર્યવાહી પૂર્ણ કર્યા પછી, વિશેષ ન્યાયાધીશ એસ.કે. યાદવે ચુકાદો લખવાનો સમય લીધો હતો.
લાલકૃષ્ણ અડવાણીએ 24 જુલાઈએ વીડિયો કોન્ફરન્સ દ્વારા વિશેષ જજ સમક્ષ નિવેદન નોંધાવ્યું હતું. અડવાણીએ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. પોતાના પર લાગેલા આરોપો માટે તેમણે તે સમયની કેન્દ્ર સરકારને જવાબદાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપ રાજકારણથી પ્રેરિત છે. સુનાવણી 4.5 કલાક ચાલી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અડવાણીને 100થી વધુ સવાલ પણ પૂછ્યા હતા.
ભાજપના નેતા મુરલી મનોહર જોશીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમના નિવેદનો રેકોર્ડ કર્યા હતા. તેને 1050 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. મોટાભાગના જવાબમાં જોશીએ પોતાને નિર્દોષ ગણાવ્યા. તેમણે કહ્યું કે હું આ ઘટનામાં સામેલ થયો ન હતો. મને રાજકીય કારણોસર ફસાવવામાં આવ્યો છે