![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/06/thediplomat_2016-09-22_01-00-27.jpg)
રાજનાથસિંહે CDS અને સેના પ્રમુખો સાથે બેઠક કરી, કહ્યું- ચીનની ઘુસણખોરીનો જડબાતોડ જવાબ આપો.
નવી દિલ્હી. બોર્ડર પર ચીનની ઘુસણખોરી રોકવા માટે સરકારે આપણી સેનાઓને હવે ખુલી છૂટ આપી દીધી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રોના માધ્યમથી જણાવ્યું કે સરકારે એરફોર્સ, નેવી અને આર્મીને કોઇ પણ જગ્યાએથી ચીન ઘુસણખોરી કરે તો આક્રમક જવાબ આપવા માટે કહ્યું છે. રવિવારે રક્ષામંત્રી રાજનાથસિંહે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત સહિત સેનાધ્યક્ષ જનરલ એમએમ નરવણે, એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અને નેવી પ્રમુખ કરમબીરસિંહ સાથે વાત કરી હતી. તેમાં સેનાઓને ચીન સામે આક્રમક રીતે કાર્યવાહી કરવા માટે જણાવ્યું હતું.
૬ અઠવાડિયાથી ભારત અને ચીન વચ્ચે લદ્દાખમાં તણાવની સ્થિતિ ચાલી રહી છે. ૧૫ જૂનની રાત્રે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે અથડામણ થઇ હતી. ચીનના સૈનિકોએ કાંટાળી તાર વાળા ડંડાઓથી ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. તેમાં ૨૦ જવાન શહીદ થયા હતા. ભારતે પણ ચીનના ૪૦થી વધુ સૈનિકોને માર્યા હોવાની વાત કહી છે. જોકે ચીને હજુ તેના કેટલા જવાન મર્યા છે તે અંગે જાણકારી આપી નથી.
ભારત સરકારે કહ્યું છે કે ગલવાન ઘાટી પર ચીનનો દાવો અમને મંજૂર નથી. ગલવાન પર લાંબા સમયથી સ્થિતિ સ્પષ્ટ છે. ભારતીય જવાનો LACને સારી રીતે જાણે છે અને તેનું પાલન કરે છે. ભારતે ક્યારેય સીમા ઓળંગી નથી. સૈનિકો આ વિસ્તારમાં ઘણા સમયથી પેટ્રોલિંગ કરે છે. દરેક નિર્માણકાર્ય ભારતીય સીમાની અંદર જ છે. ભારતના નક્શામાં બોર્ડર સ્પષ્ટ છે. ૬૦ વર્ષમાં ૪૩ હજાર વર્ગકિમી વિસ્તાર પર અતિક્રમણ વિશે દેશ જાણે છે. સરકાર LACમાં એકતરફી પરિવર્તનની મંજૂરી નહીં આપે.