રાહુલ ગાંધીનું મોટુ નિવેદનઃ બન્નેને કોંગ્રેસની ધરોહર કહ્યા સચિન પાયલટ અને અશોક ગેહલોત વિવાદ વચ્ચે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ વચ્ચે ચાલુ વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે અશોક ગેહલોત અને સચિન પાયલટ બન્નેને પાર્ટીની ધરોહર ગણાવ્યા છે. તમને જણાવી દઈએ કે, અશોક ગેહલોતે સચિન પાયલટને ગદ્દાર કહી દીધા હતા. ત્યારબાદ રાજસ્થાનમાં રાજકીય સંઘર્ષ વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના સમયથી જ રાજસ્થાનમાં બે નેતાઓ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. તે સમયે હાઈકમાન સચિન પાયલટને મુખ્યમંત્રીનું પદ સોંપવા માંગતી હતી. ત્યારે ગેહલોત જૂથના મંત્રીઓ-ધારાસભ્યોએ બળવો કર્યો હતો.
આ દિવસોમાં રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાના સંદર્ભમાં મધ્ય પ્રદેશમાં છે. તેમણે ઈન્દોરમાં મીડિયા સાથેની વાતચીતમાં અશોક ગેહલોત અને સચિન પાયલટ વિવાદ પર પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે બન્ને નેતાઓને પાર્ટીની સંપતિ ગણાવ્યા હતા. હાલમાં અશોક ગેહલોત સચિન પાયલટને લઈને ખૂબ જ આક્રમક થયા હતા. થોડા સમય પહેલા તેમણે પાયલટને નકામાં પણ કહી દીધા હતા. ત્યારે થોડા દિવસ પહેલા એક વખત ફરીથી પાયલટ પર હુમલો કરતા તેમને ગદ્દાર પણ કહી દીધા હતા. જો કે આ મામલે ગેહલોતને કોંગ્રેસના નેતાઓ દ્વારા ફટકાર લગાવવામાં આવી રહી છે. જયરામ રમેશે તેમને આવા શબ્દો ન વાપરવાની સલાહ આપી હતી. ત્યારે રાજસ્થાન સરકારના મંત્રી રાજેન્દ્ર ગુડાએ ગુડાએ પણ ગેહલોતની ટીકા કરી હતી.
રાહુલ ગાંધીએ ગેહલોત- સચિન પાયલટ વિવાદની રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા પર અસર પડવાની વાતને તદ્દન નકારી દીધી હતી. તેમણે કહ્યું હતું કે હું જ્યારે પણ કોઈ નવા રાજ્યમાં પહોંચું છું ત્યારે મીડીયા તરફથી કહેવામાં આવે છે કે અહીંયા કંઈક સમસ્યા થશે. હવે રાજસ્થાનમાં સમસ્યા થવાની વાત કરવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત જોડો યાત્રા હવે કોંગ્રેસથી આગળ વધી ચૂકી છે. આ યાત્રા હવે ભારતનો અવાજ બની ગઈ છે. તેથી એવું ન કહી શકાય કે તે ક્યાં પહોંચશે અને ક્યાં નહીં. ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું હતું કે સંગઠન માટે અનેક મોટા નિર્ણયો લેતા અચકાઈશું નહીં.
તમને જણાવી દઈએ કે, અશોક ગેહલોતે સચિન પાયલટ પર નિશાનો તાકતા કહ્યું હતું કે, એક ગદ્દાર મુખ્યમંત્રી ન બની શકે. તેમણે વધુમાં કહ્યું હતું કે, હાઈકમાન તેમને CM ન બનાવી શકે. એટલું જ નહીં તેમણે દાવો કર્યો હતો કે, પાયલટ પાસે 10 ધારાસભ્ય પણ નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેમણે વિદ્રોહ કર્યો હતો અને પાર્ટીને દગો આપ્યો હતો, તે ગદ્દાર છે. ત્યાર પછી જ રાજસ્થાન કોંગ્રેસમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા બળવામાં નવો ઉભરો આવ્યો છે. ત્યાં સુધી કહેવાઈ રહ્યું છે કે, મોટી સંખ્યામાં ધારાસભ્યો ગેહલોતથી મોઢું ફેરવવા લાગ્યા છે.