રાહુલ ગાંધીએ કહ્યું – કોંગ્રેસ પાર્ટીનાં બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યાં છે, કોઈ અદાલતે કે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી
કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને અજય માકને ગુરુવારે સવારે 11:30 વાગ્યે દિલ્હી પાર્ટી હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરી. અડધા કલાકમાં ત્રણેય નેતાઓએ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનાં બેંક ખાતાં ફ્રીઝ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્રણેય નેતાઓએ કહ્યું કે અમારાં ખાતાં ફ્રીઝ કરીને મુક્ત નિષ્પક્ષ ચૂંટણીની વાત કેવી રીતે થઈ શકે.
ખડગેએ કહ્યું– લોકસભા ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. લોકશાહી માટે એ મહત્ત્વનું છે કે ચૂંટણી નિષ્પક્ષ રીતે થાય અને તમામ રાજકીય પક્ષોને સમાન તકો મળે. ED, IT અને અન્ય સ્વતંત્ર સંસ્થાઓ પર કોઈ નિયંત્રણ હોવું જોઈએ નહીં. ઈલેક્ટોરલ બોન્ડને લઈને છેલ્લા કેટલાક દિવસોમાં જે હકીકતો સામે આવી છે તેનાથી દેશની ઈમેજને ઠેસ પહોંચી છે. ભાજપે ચૂંટણી દાન યોજના હેઠળ પોતાનાં બેંક ખાતાઓમાં હજારો કરોડ રૂપિયા જમા કરાવ્યા છે જેને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યા છે. બીજી તરફ મુખ્ય વિપક્ષી પાર્ટી (કોંગ્રેસ)નું બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે, જેથી અમે પૈસાના અભાવે સમાન ધોરણે ચૂંટણી લડી શકતા નથી. શાસક પક્ષ દ્વારા રમાતી આ ખતરનાક રમત છે.
સોનિયા ગાંધીએ કહ્યું– ચૂંટણી પહેલાં જ પાર્ટીના બેંક ખાતા ફ્રીઝ કરીને કોંગ્રેસને લકવા કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ લોકશાહી પર હુમલો છે. છેલ્લા એક મહિનાથી અમે અમારા રૂ. 285 કરોડનો ઉપયોગ કરી શક્યા નથી. જો અમે કોઈ કામ ન કરી શકીએ તો લોકશાહી કેવી રીતે ટકી શકશે?
રાહુલ ગાંધીએ કહ્યું– કોંગ્રેસ પાર્ટીનાં બેંક ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યાં છે. કોઈ અદાલતે કે ચૂંટણી પંચે કંઈ કર્યું નથી. કોઈએ કશું કહ્યું નહીં.જો દેશની સૌથી મોટી વિપક્ષી પાર્ટીનાં બેંક ખાતાં બંધ છે તો દેશમાં લોકશાહીની વાત કેવી રીતે કરી શકાય.