PM મોદીએ એશિયાના સૌથી મોટા સોલર પ્લાન્ટનું લોકાર્પણ કર્યું, કહ્યું- તેનાથી મધ્યપ્રદેશ સસ્તી વીજળીનું હબ બનશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના રીવામાં બનેલા અલ્ટ્રા મેગા સોલર પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કર્યો છે. મોદીએ કહ્યું મધ્યપ્રદેશ સસ્તી વીજળીનું હબ બનશે. આપણા મધ્યમ અને ગરીબ પરિવારોને ફાયદો થશે. આ સિવાય ખેડૂતો અને આદિવાસીઓને પણ તેનાથી ફાયદો થશે. આપણી સંસ્કૃતિમાં સૂર્યનું વિશેષ મહત્વ રહ્યું છે. તેમણે એક સંસ્કૃતના શ્લોક દ્વારા જણાવ્યું કે જે ઉપાસના યોગ્ય સૂર્ય છે, તે આપણને પવિત્ર કરે. પીએમ મોદીએ કહ્યું રીવામાં આવો જ અનુભવ થઈ રહ્યો છે.
સૂર્ય દેવીની આ ઉર્જાને આજે સમગ્ર દેશ અનુભવી રહ્યો છે. સૌર ઉર્જા 21મી સદીનું મોટું માધ્યમ બનવા જઈ રહી છે. તે શ્યોર, પ્યોર અને સિક્યોર છે. શ્યોર એટલા માટે સૂર્ય હમેશા ચમકતો જ રહેશે. પ્યોર એટલા માટે કારણ કે તેનાથી પર્યાવરણ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને સાફ રહેશે. સિક્યોર એટલા માટે કે વીજળીની જરૂરિયાતને સરળતાથી પુરી કરી શકાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે સોલર ઉર્જાના મામલામાં વિશ્વના ટોપ પાંચ દેશોમાં સામેલ થયા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું હવે રીવાવાળા કહેશે કે દિલ્હીની મેટ્રો અમારું રીવા ચલાવે છે. તેનો લાભ મધ્યપ્રદેશના ગરીબ, મધ્યમ વર્ગીય લોકો, ખેડૂતો અને આદિવાસીઓને થશે. પીએમએ કહ્યું કે વીજળીની જરૂરિયાતના હિસાબથી સૌર ઉર્જા મહત્વની છે. સરકાર તેને પ્રોત્સાહન આપી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભરના વિષયમાં ઈકોનોમિ એક જરૂરી પક્ષ છે. વર્ષોથી એ બાબતે મંથન ચાલુ છે કે અર્થવ્યવસ્થાનું વિચારવામાં આવે કે પર્યાવરણનું, જોકે ભારતે બતાવ્યું છે કે બંનેને એક સાથે કરી શકાય છે.
પીએમ મોદીએ કહ્યું કે આત્મનિર્ભરતા ત્યારે જ શકય છે, જ્યારે આત્મવિશ્વાસ હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કોરોના સંકટ દરમિયાન ખેડૂતોએ રેકોર્ડ પાકનું ઉત્પાદન કર્યું છે અને સરકારે તેની ખરીદી કરી છે. થોડા સમયમાં મધ્યપ્રદેશના ખેડૂતો વીજળી પેદા કરવાનો રેકોર્ડ પણ તોડશે. હવે અાપણે દેશમાં જ સોલર પ્લાન્ટ્સ સાથે જોડાયેલો સામાન પણ બનાવીશું. આત્મનિર્ભર ભારત અંતર્ગત આયાત પરની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને અહીં તેનું ઉત્પાદન કરવા પર ભાર મૂકાશે. હવે સરકારનો કોઈ પણ વિભાગ જો કોઈ સોલર પ્લાન્ટ સાથે જોડાયેલો સામાન લે છે તો તેઓ મેક ઈન્ડિયાનો જ સામાન ખરીદશે.
સંબોધનમાં મોદીએ કહ્યું અમારી સરકારના સમયમાં સ્વચ્છ ભારત, LPG, LED, સૌર ઉર્જા સહિત ઘણા નિર્ણયો લેવામાં આવ્યા છે. પીએમએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં સરકારે 36 કરોડ LED બલ્બ વહેંચ્યા છે, 1 કરોડથી વધુ બલ્બ સ્ટ્રીટ લાઈટમાં લગાવવામાં આવ્યા છે. અમારી સરકારે LEDની કિંમતને દસ ગણી ઘટાડી દીધી છે. પીએમએ કહ્યું કે તેનાથી 600 અબજ યુનિટ વીજળીની બચત થઈ રહી છે, દર વર્ષે લોકોને વીજળીનું બિલ ઓછું આવી રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું 2014 પહેલા સોલર પાવરની કિંમત વધુ હતી, જોકે હવે કિંમત ઘણી ઘટી ગઈ છે. ભારત હવે ક્લીન એનર્જીનું સૌથી શાનદાર માર્કેટ બની ગયું છે. આ ક્ષેત્રમાં હવે ભારત મોડલ બની ચૂક્યું છે. હવે એક સામાન્ય માણસના ઘરની છતથી લઈને બગીચા સુધી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. તેની સાથે જ અન્નદાતાને ઉર્જાદાતા બનાવાઈ રહ્યાં છે. જે જમીન પર ખેડૂતોને પાક લેવામાં મુશ્કેલી થતી હતી ત્યાં તેઓ હવે પ્લાન્ટ લગાવી રહ્યાં છે.
રીવા સ્થિત આ પરિયોજના 750 મેગાવોટની છે. તે 1590 હેકટર ક્ષેત્રમાં પથરાયેલી છે. આ સૌર ઉર્જા પ્લાન્ટમાં કુલ ત્રણ એકમો છે. પ્રત્યેક એકમમાં 250 મેગા વોટ વિદ્યુતનું ઉત્પાદન થઈ રહ્યું છે. પરિયોજનાથી ઉત્પાદિત વિદ્યુતનો 76 ટકા અંશ રાજ્યની પાવર મેનેજમેન્ટ કંપની અને 24 ટકા દિલ્હી મેટ્રોને અપાઈ રહ્યો છે.