દેશમાં કોરોનાને હરાવનાર 20 લાખ પાર, દેશના 73% કોરોના દર્દી હવે સાજા, માત્ર 25% સક્રિય દર્દી
ભારતમાં 202 દિવસના કોરોના કાળમાં મંગળવારે પ્રથમવાર સક્રિય દર્દી વધવાનો દર ઘટીને 0.5% થઈ ગયો એટલે કે સક્રિય દર્દી બમણા થવાની અવધિ 140 દિવસની થઈ છે. કારણ-સોમવારે નવા દર્દી વધુ સાજા થવાનો આંકડો બહાર આવ્યો હતો. આવું 6 મહિનામાં માત્ર 3 વાર થયું છે. આ સાથે જ દેશ સાજા થનારાના 20 લાખના આંકડાને પાર કરી ગયો છે. દેશમાં હવે માત્ર 6.75 લાખ સક્રિય દર્દી છે. જ્યારે 1.9% દર્દી બચી શક્યા નથી.
મુખ્ય વાત એ છે કે રિકવરી રેટ એક મહિનામાં 10 ટકા સુધી વધ્યો છે. 17 જુલાઈએ રિકવરી રેટ 62.2% હતો જે 17 ઓગસ્ટે 73% થઈ ગયો. દિલ્હી, તમિલનાડુ, ગુજરાત, તેલંગાણા, પ.બંગાળ અને બિહારમાં રિકવરી રેટ ઝડપથી વધ્યો છે. જ્યારે ચંદીગઢ, પંજાબ, કેરળ, છત્તીસગઢ વગેરેમાં ઘટ્યો છે. તેનું કારણ એ છે કે નવા દર્દી વધ્યા છે. પહેલા આ રાજ્યોમાં રિકવરી રેટ સૌથી સારો હતો.
રાજ્યોની સ્થિતિમાં સુધારાનું મોટું કારણ રિકવરીમાં વધારો છે. મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા, જયપુર, ભોપાલ, ઇંદોર, પટણા, જોધપુર, અમદાવાદ, સુરત, ઔરંગાબાદ જેવા શહેરોમાં રિકવરી ઝડપથી વધી છે. આવા માત્ર 20 શહેરોમાં દેશના કુલ 80 ટકા દર્દી હતા તેમાંથી 80 ટકાથી વધુ સાજા થઈ ગયા છે.