![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/sap.png)
હવે તો હદ છે! વંદો, ગરોળી નઈ પણ આ વખતે ફૂડ પેકેટમાંથી મળી આવ્યો મૃત સાપ
મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક આંગણવાડી કેન્દ્રમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બાળકો માટે લાવવામાં આવેલા મિડ-ડે મીલના પેકેટમાં મૃત સાપ મળી આવ્યો હોવાના અહેવાલ છે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છ મહિનાથી ત્રણ વર્ષ સુધીના બાળકોને આંગણવાડી કેન્દ્રોમાં મધ્યાહન ભોજનના પેકેટ મળે છે. આ પેકેટમાં સાપ મળવાના સમાચાર સાંભળીને બધા ચોંકી ગયા છે.
શું છે સમગ્ર મામલો?
હકીકતમાં, સોમવારે સાંગલીના પલુસમાં એક આંગણવાડી કેન્દ્રમાં કાર્યકરોએ ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે, એક બાળકના માતા-પિતાએ દાવો કર્યો હતો કે તેમને મળેલા પેકેટમાં મૃત નાનો સાપ હતો. આંગણવાડી કર્મચારી સંઘના ઉપાધ્યક્ષ આનંદી ભોસલેએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકર્તાએ આ ઘટના અંગે અધિકારીઓને જાણ કરી હતી.
આંગણવાડી કર્મચારી યુનિયનના ઉપાધ્યક્ષ આનંદી ભોસલેએ કહ્યું છે કે બાળકના માતા-પિતાએ સોમવારે આ કથિત ઘટનાની જાણકારી આપી છે. જો કે, ઘટનાની પુષ્ટિ કરવા માટે જિલ્લા અધિકારીઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. તમને જણાવી દઈએ કે બાળકોને આપવામાં આવેલા આ પેકેટમાં દાળ ખીચડીનું મિશ્રણ હોય છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા છે.
પેકેટ લેબ ટેસ્ટીંગ માટે મોકલાયું
માહિતી અનુસાર, ઘટનાની માહિતી મળ્યા બાદ, સાંગલી જિલ્લા પરિષદના નાયબ મુખ્ય કાર્યકારી અધિકારી સંદીપ યાદવ અને ફૂડ સેફ્ટી કમિટીના અન્ય અધિકારીઓએ સંબંધિત આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ બાદ ઘટના સાથે જોડાયેલા પેકેટને લેબ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.