![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ઘણા-દેશોમાં-પ્રતિબંધ-પછી-hed.jpg)
ઘણા દેશોમાં પ્રતિબંધ પછી ન્યૂઝીલેન્ડે પણ ભારતીય મસાલા બ્રાન્ડ્સની તપાસ શરૂ કરી
એપ્રિલ મહિનાથી શરૂ થયેલો ભારતીય મસાલાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. હવે આ વિવાદમાં ન્યૂઝીલેન્ડ પણ સામેલ થઇ ગયું છે. સૂત્રો દ્વારા મળતી માહિત મુજબ ઘણા દેશોમાં આ મસલાઓ પર પ્રતિબંધ પછી ન્યૂઝીલેન્ડે પણ ભારતીય મસાલા બ્રાન્ડ્સના ઉત્પાદનોમાં ખતરનાક કેમિકલની હાજરીની તપાસ શરૂ કરી છે.
ન્યૂઝીલેન્ડના ફૂડ સેફ્ટી રેગ્યુલેટરે બુધવારે ભારતીય મસાલા બ્રાન્ડના વિવિધ ઉત્પાદનોની તપાસ શરૂ કરવાની માહિતી આપી હતી. રિપોર્ટમાં ન્યૂઝીલેન્ડ ફૂડ સેફ્ટીના નિવેદનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે રેગ્યુલેટર ઘણા દેશોમાં ભારતીય મસાલા બ્રાન્ડ્સના વિવિધ ઉત્પાદનો પર લાદવામાં આવેલા પ્રતિબંધથી વાકેફ છે. રેગ્યુલેટરનું કહેવુ છે કે એથિલિન ઓક્સાઈડ નામના આ કેમિકલથી માણસોમાં કેન્સર થાય છે. ન્યૂઝીલેન્ડ અને ઘણા દેશોમાં ફૂડ સ્ટરીલાઇજેશનમાં તેનો ઉપયોગ બંધ કરવામાં આવ્યો છે. ન્યૂઝીલેન્ડના બજારમાં એમડીએચ અને એવરેસ્ટના મસાલા પણ વેચવામાં આવતા હોવાથી અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ.
આ બંને કંપનીઓ સ્થાનિક સ્તરે પણ સરકાર તરફથી કાર્યવાહીનો સામનો કરી રહી છે. ઘરેલું ફૂડ સેફ્ટી રેગ્યુલેટર એફએસએસએઆઇએ વિવિધ મસાલાઓની તપાસ શરૂ કરી દીધી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સમગ્ર દેશમાં મસાલાના 1,500 થી વધુ નમૂનાઓ એકત્રિત કર્યા છે. હાલમાં તમામ મસાલાના સેમ્પલની તપાસ કરવામાં આવી રહી છે. સરકારનું કહેવું છે કે જો સેમ્પલ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે તો સંબંધિત કંપનીઓના ઉત્પાદનોના લાયસન્સ રદ થઈ શકે છે.