![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/AYODDHYA.png)
અયોધ્યામાં રામપથના નિર્માણમાં બેદરકારી, 6 અધિકારો કરાયા સસ્પેન્ડ
અયોધ્યા પ્રશાસને રામ પથના નિર્માણમાં ઘોર બેદરકારીની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે, જે શરૂઆતના વરસાદ દરમિયાન લગભગ એક ડઝન સ્થળોએ ધરાશાયી થવાને કારણે સમાચારમાં આવી હતી. અયોધ્યાના ડિવિઝનલ કમિશનર ગૌરવ દયાલે રવિવારે જણાવ્યું હતું કે, “તમામ સંબંધિત વિભાગોની એક સમિતિની રચના કરવામાં આવી છે, જે 15 દિવસની અંદર તપાસ કરશે અને તેનો રિપોર્ટ આપશે.” આ કમિટી ગટરના ચેમ્બર/મેનહોલના બાંધકામને લગતી ગેરરીતિઓની તપાસ કરશે જેમાં ખાડાઓ વિકસ્યા છે.
અત્યાર સુધીમાં 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા
ડિવિઝનલ કમિશનરે જણાવ્યું હતું કે, જિલ્લામાં સમગ્ર વરસાદી સિઝનનો 30 ટકા જેટલો વરસાદ માત્ર બે દિવસમાં થયો છે, જેના કારણે આ સમસ્યા સર્જાઈ છે. રાજ્ય સરકારે આ બાબતે અમદાવાદ સ્થિત કોન્ટ્રાક્ટર ‘ભુવન ઈન્ફ્રાકોમ પ્રાઈવેટ લિમિટેડ’ને પણ નોટિસ પાઠવી છે. અયોધ્યામાં નવા બાંધવામાં આવેલા રામ પથના કેટલાક ભાગોમાં રોડ તુટવા અને પાણી ભરાવાને પગલે સરકારે ઘોર બેદરકારી બદલ છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
સાંસદ અવધેશ પ્રસાદે તપાસની માંગ કરી હતી
દરમિયાન, નવા ચૂંટાયેલા ફૈઝાબાદના સાંસદ અવધેશ પ્રસાદે શનિવારે અયોધ્યામાં 14 કિલોમીટર લાંબા રામ પથ અને રસ્તાની નીચે ગટર લાઇનના નિર્માણમાં કથિત અનિયમિતતાઓની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી હતી. સાંસદ અવધેશ પ્રસાદે કહ્યું હતું કે, આ એક મોટો મુદ્દો છે, રામના નામ પર લૂંટ થઈ રહી છે. કેટલા લોકો જવાબદાર છે, કોણ જવાબદાર છે, બધું સ્પષ્ટ હોવું જોઈએ. કેટલાક લોકો સામે લેવાયેલી કાર્યવાહી પૂરતી નથી. રામ પથના નિર્માણમાં થતી ગેરરીતિઓમાં વધુ લોકો સંડોવાયેલા છે.”