![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/06/014.jpg)
મોદી સરનેમ કેસ : રાંચીની કોર્ટમાં હાજર ન થયા રાહુલ ગાંધી
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે રાંચીની સિવિલ કોર્ટમાં હાજર થવાનું હતા, પરંતુ હાજર ન થયા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીના વકીલે કોર્ટ પાસે 15 દિવસનો સમય માંગ્યો હતો, જેને કોર્ટે મંજૂરી આપતા હવે આ મામલે 15 દિવસ બાદ ફરી સુનાવણી થશે. ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મોદી અટક સંબંધિત કેસમાં 23 માર્ચ-2023ના રોજ સુરતની CJM કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ત્યારબાદ રાહુલ ગાંધીને લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા. આ મામલામાં રાહુલ ગાંધી પર અનેક કોર્ટમાં કેસ થયા છે.
ઉલ્લેખનિય છે કે, 2019માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ મોરહબાદી મેદાનમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, ‘મોદી નામવાળા તમામ ચોર હોય છે.’ મોદી અટક પર આ ટિપ્પણી અંગે એડવોકેટ પ્રદીપ મોદીએ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. અરજીકર્તાએ અરજીમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીની આ ટિપ્પણી સમગ્ર મોદી સમાજનું અપમાન છે. આ ટિપ્પણીથી મોદી સમાજ દુઃખી થયો છે, તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.
આ કેસમાં રાહુલ ગાંધી સામે નોંધાયેલો આ પ્રથમ કેસ નથી. અગાઉ સુરતના ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. પૂર્ણેશ મોદીની અરજી પર સુરત કોર્ટે મોદી અટક કેસના બદનક્ષીના એક અલગ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટના આ નિર્ણય બાદ રાહુલ ગાંધીને લોકસભામાં સાંસદ પદ માટે અયોગ્ય ઠેરવવામાં આવ્યા હતા.
અમિત શાહ પર પણ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાહુલ ગાંધી પર કેસ ચાલી રહ્યો છે. 2018માં ચાઈબાસામાં યોજાયેલા કોંગ્રેસ અધિવેશન દરમિયાન રાહુલ ગાંધીએ ભાજપના તત્કાલિન રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, એક હત્યારો માત્ર ભાજપમાં જ રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે, કોંગ્રેસમાં નહીં. રાહુલ ગાંધીએ અમિત શાહ વિરુદ્ધ આ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ ભાજપના નેતા નવીન ઝાએ નીચલી કોર્ટમાં અરજી કરી હતી અને બાદમાં મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.