મોદી : પ્રગતિશીલ અભિગમ માટે વિખ્યાત છે ભવિષ્યને દ્રષ્ટિમાં રાખીને લખાયું છે આપણું સંવિધાન ખુલ્લું છે
‘આપણું સંવિધાન ખુલ્લું છે, ભવિષ્યને દ્રષ્ટિમાં રાખી લખાયું છે, પ્રગતિશીલ અભિગમ માટે વિખ્યાત છે.’ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ‘સંવિધાન દિને’ યોજાયેલા સમારોહમાં બોલતા જણાવ્યું હતું. તેઓએ વધુમાં કહ્યું : ‘વી ધી પીપલ’ તે ત્રણ શબ્દો, માત્ર શબ્દો જ નથી સંવિધાનનો અર્ક છે. તે આપણી લોકશાહીની વ્યાખ્યા આપે છે અને ભારતને વિશ્વની લોકશાહીઓની માતા તરીકે પ્રસ્થાપિત કરે છે.
સુપ્રીમ કોર્ટમાં આજે યોજાયેલા આ સમારંભમાં બોલતા વડાપ્રધાને વધુમાં કહ્યું હતું કે, ‘ભારત જે રીતે ઝડપભેર વિકાસ સાધી રહ્યું છે અને આર્થિક પ્રગતિ સાધી રહ્યું છે તે તરફ સમગ્ર જગતની નજર છે. પછી ભલે તે (પ્રગતિ) વ્યક્તિગત હોય કે સંસ્થાકીય હોય પરંતુ આપણી ફરજો, આપણી સર્વપ્રથમ પ્રાથમિકતા બની રહી છે. આ ‘આઝાદી’નો અમૃતકાળ તે રાષ્ટ્રને વધુ ગતિથી આગળ લઈ જવા માટેનો, અને ભારતને ‘વિશ્વ નેતા’ બનાવવાનો સમય છે. હવે પછીના એક જ સપ્તાહમાં ભારત જી-૨૦ દેશના પ્રમુખપદે આવશે.’
આ સમારોહમાં ભારતના સર્વોચ્ચ ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડ પણ ઉપસ્થિત હતા તેઓની તરફ જોઈને વડાપ્રધાને ન્યાયતંત્રની પ્રશંસા કરી હતી અને સમયસર ન્યાય આપવા માટે ન્યાયતંત્રનો આભાર પણ માન્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, ‘ગરીબોને લક્ષ્યમાં રાખી જે નીતિઓ ઘડાય છે તેથી ભારતના ગરીબો, મહિલાઓને સહાય મળે છે. સામાન્ય માનવીને પણ સરળતા રહે, તે રીતે કાનૂનો પણ સરળ બનાવાઈ રહ્યા છે.’
આ સમારોહમાં વડાપ્રધાન મોદીએ ૨૦૦૮માં આ દીવસે (૨૬-૧૧ના દિને) મુંબઈમાં થયેલા ત્રાસવાદી હુમલાઓમાં જેઓના જાન ગયા હતા તે સર્વેને સ્મરણાંજલિ અર્પી હતી. તેઓએ કહ્યું : ૨૦૦૮માં આ દીવસે જ્યારે સમગ્ર દેશ સંવિધાન દીવસ તરીકે ઉજવી રહ્યો હતો ત્યારે લોકશાહીના અને ભારતના શત્રુઓએ ત્રાસવાદી હુમલો કર્યો હતો, તેમાં જેઓએ જીવન સમર્પિત કર્યું હતું કે ગુમાવ્યું હતું તે સર્વેને હું શ્રદ્ધાંજલિ અર્પું છું.
વડાપ્રધાને આ સાથે કેટલીક યોજનાઓ પણ તરતી મૂકી હતી જે વાદી-પ્રતિવાદી તથા વકીલોને પણ સહાયભૂત થાય તેવી છે. તેમાં ‘વર્ચ્યુઅલ જસ્ટીસ ક્લોક, જસ્ટિસ મોબાઇલ એપ-૨, ડીજીટલ કોર્ટ અને ૫૩ ુચચજ વેબસાઇટ’ સમાવિષ્ટ છે.
૨૦૧૫ પહેલાં આ દિવસ ‘લૉ- ડે’ તરીકે મનાતો હતો ૨૦૧૫થી સંવિધાન દિન તરીકે ઉજવાય છે.