ગો કોરોના ગો… નો નારો આપનારા મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે થયા કોરોના સંક્રમિત
ગો કોરોના ગો…નો નારો આપનારા મોદી સરકારના મંત્રી રામદાસ આઠવલે કોરોનાથી સંક્રમિત થઈ ગયા છે. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખ રામદાસ આઠવલેની ઓફિસે તેમનો કોરોના થયો હોવાની વાતને સમર્થન આપ્યુ છે.તકેદારીના ભાગરુપે તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ગઈ કાલ સુધી તેઓ સક્રિય હતા. ગઈકાલે જ તેમણે પાયલ ઘોષને આરપીઆઈમાં જોઈન કરાયા હતા. તે પછીથી તેમને શરીરમાં દુખાવો અને કફ જેવું ફિલ થતું હતું. તે પછીથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે પછીથી તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કોરોનાનુ સંક્રમણ થયુ ત્યારે શરુઆતના તબક્કામાં રામદાસ આઠવલેએ તેમના સમર્થકો સાથે મિણબત્તી લઈને દેખાવો કર્યા હતા અને ગો કોરોના ગો…નો નારો આપ્યો હતો. તેમનો આ નારો સોશ્યલ મીડિયા પર બહુ વાયરલ થયો હતો.તેમના મીમ્સ પણ બન્યા હતા.જોકે દેશમાંથી કોરોના તો ગયો નથી પણ હવે કોરોનાના સપાટમાં ખુદ રામદાસ આઠવલે આવી ગયા છે.રામદાસ આઠવલે પોતાની આગવી વાક શૈલીના કારણે ખાસા લોકપ્રિય છે.
તેઓ પાંચમાં નેતા છે જે તાજેતરમાં જ કોરોનાથી સંક્રમિત થયા હોય.આ પહેલા બિહારના ભાજપના પ્રભારી દેવન્દ્ર ફડનવીસ ઉપરાંત ભાજપના ટોચના નેતા શાહનવાઝ હુસેન, બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર પણ કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે.