![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/000-3.png)
એમેઝોન ઇન્ડિયાને સમન્સ મોકલ્યું કર્મચારીઓની છટણી મુદ્દે શ્રમ મંત્રાલયે
અમેરિકાની ટેકનોલોજી કંપનીઓ દ્વારા કરવામાં આવી રહેલી છટણીઓનો રેલો ભારતમાં પહોચ્યો છે. એમેઝોન ભારતના આવા જ એક પગલાથી ભારતીય કર્મચારીઓને બચાવવા માટે કેન્દ્ર સરકારના શ્રમ મંત્રાલયે કંપનીને નોટિસ પાઠવી છે. મંત્રાલયે પોતાની નોટિસમાં કંપનીને બેંગલુરુ સ્થિત લેબર કમિશનરની ઓફિસમાં હાજર રહેવાનું ફરમાન કર્યું છે. ઉલ્લેખનીય છે કે, એક કર્મચારી યુનિયન- નેસેંટ ઈન્ફોરમેશન ટેકનોલોજી ઈપ્લોયર્સ સેનેટે એમેઝોન ભારત પર લેબરના નિયમોના ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો અને તેમની સામે શ્રમ મંત્રાલયમાં ફરિયાદ કરી હતી.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, કર્મચારી યુનિયન નેસેંટ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈપ્લોયર્સ સેનેટે એમેઝોન ભારતની નવી કર્મચારી નીતિનો વિરોધ કર્યો હતો. યુનિયને કેન્દ્રીય શ્રમ મંત્રી ભુપેન્દ્ર યાદવને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે, એમેઝોન તેના ભારતના કર્મચારીઓને કંપનીમાંથી નીકળવાની ફરજ પાડી રહી છે. એમેઝોને કર્મચારીઓની આડકતરી છટણી માટે તેમના અમુક કર્મચારીઓને વોલેન્ટરી સેપરેશન પ્રોેગ્રામમાં શામેલ કરવાની શરૂઆત કરી છે.
એમેઝોન દ્વારા વોલેન્ટરી સેપરેશન પ્રોેગ્રામની સમયસીમા ૩૦ નવેમ્બર, ૨૦૨૨ રાખવામાં આવી છે. કર્મચારી યુનિયને જણાવ્યું કે, એમેઝોનના આ નિર્ણયથી કર્મચારીઓની આજીવિકા ઉપર ખતરો ઊભો થયો છે. ઈંડસ્ટ્રીસ ડિસ્પ્યુટ એક્ટને ટાંકીને યુનિયને જણાવ્યું કે, સરકારની પૂર્વ મંજૂરી વિના ખાનગી કંપનીઓને કર્મચારીઓની છટણી કરવાનો કોઈ અધિકાર નથી. કર્મચારી યુનિયનના પ્રમુખે જણાવ્યું કે, તેમણે સરકાર સમક્ષ કંપનીના વોલેન્ટરી સેપરેશન પ્રોગ્રામને તાત્કાલિક ધોરણે બંધ કરવાની માંગ કરી છે.
એમેઝોને હાલમાં જ ૧૦,૦૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને ગત અઠવાડિયે તેની શરૂઆત પણ કરી હતી.
કંપનીએ તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે, હવે ઘણા પદો પર કર્મચારીઓની જરૂર ન રહી હોવાથી તેમનાથી સંકળાયેલા પદોને ખતમ કરવામાં આવે છે. આવા કર્મચારીઓનો કાર્યકાળ ૧૭ જાન્યુઆરી, ૨૦૨૩ સુધી જ રહેશે અને ત્યારબાદ તેમની સેવા સમાપ્ત થઈ જશે. કર્મચારી યુનિયન કંપનીના આ નિર્ણય વિરૂદ્ધ શ્રમ મંત્રાલય પહોચ્યું છે.